કોરોનાની બીજી લહેરમાં ૨૭૦ ડોકટર શહીદ
નવી દિલ્હી,તા.૧૯: દેશમાં કોરોના રોગચાળાની બીજી લહેર અતિ જોખમી પુરવાર થઇ છે અને આ લહેરમાં અત્યાર સુધીમાં ૨૭૦ ડોકટરના પણ મૃત્યુ થયા છે. બિહારમાં સૌથી વધુ ૭૮ ડોકટરનાં, ઉત્ત્।ર પ્રદેશમાં ૩૭, દિલ્હીમાં ૨૯ અને આંધ્ર પ્રદેશમાં ૨૨ ડોકટરનાં મૃત્યુ થયાં હતાં.ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના જણાવ્યા મુજબ કોરોનાની પહેલી લહેરમાં દેશભરમાં ૭૪૮ ડોકટરના મૃત્યુ થયાં હતાં, જયારે કોરોનાની ટૂંકા ગાળાની બીજી લહેરમાં અત્યાર સુધીમાં ૨૭૦ ડોકટર મૃત્યુ પામ્યા છે. કોરોનાની બીજી લહેર ડોકટર, ફ્રન્ટલાઇન વર્કર્સ સહિત બધા જ માટે ભારે જોખમી પુરવાર થઇ છે.
દરમિયાનમાં મળતા સમાચાર અનુસાર પદ્મશ્રી કાર્ડિયોલોજિસ્ટ ડો. કે. કે. અગરવાલ (૬૨)નું કોરોનાને કારણે સોમવારે રાતે ૧૧.૩૦ કલાકે નિધન થયું હતું. જાન્યુઆરી મહિનામાં સોશિયલ મીડિયાના લાઇવ સેશન દરમિયાન તેમના પત્ની સાથેની ફોન પરની વાતચીત પણ લોકોને સાંભળવા મળી હતી. કોરોનાની રસી એકલા જઇને લઇ આવવા બદલ તેમની પત્ની તેમની સાથે ઝઘડી રહી હતી.