કોરોનાના કારણે મગજમાં ગંભીર અસર થઈ શકે છે
કોરોનાનું સંક્રમણ ઘણા અંગોને નુકસાન પહોંચાડે છે : કોરોના વાયરસના કારણે નર્વસ સિસ્ટમમાં ગંભીર સોજો આવતો હોવાનું સંશોધકોએ આખરે શોધી કાઢ્યું છે
નવી દિલ્હી,તા.૧૯ : કોરોના વાયરસનું સંક્રમણ લીવર, કિડની અને હાર્ટ સહિતના અવયવને નુકસાન પહોંચાડે છે. ત્યારે કોરોના વાયરસના કારણે નર્વસ સિસ્ટમમાં ગંભીર સોજો આવતો હોવાનું સંશોધકોએ શોધી કાઢ્યું છે. જર્મનીની ફ્રીબર્ગ યુનિવર્સિટીના સંશોધકોની ટીમના નેતૃત્વ હેઠળ કરવામાં આવેલા આ અધ્યયનમાં જણાવાયું છે કે, કોરોના દર્દીઓની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં સોજો આવી શકે છે. જેમાં વેસ્ક્યુલર સિસ્ટમની આજુબાજુ અને મગજની પેશીઓમાં વિવિધ ઈમ્યુન કોષો સાથે સંકળાયેલા હોય છે. યુનિવર્સિટીના મેડિકલ સેન્ટરના ફેકલ્ટી ઓફ મેડિસિન અને મુખ્ય લેખક હેનરીક સાલીએ જણાવ્યું હતું કે, પહેલેથી જ કોરોનામાં સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સંકળાયેલ હોવાના પુરાવા હોવા છતાં મગજમાં inflammationના સ્તરે અમને આશ્ચર્યચકિત કરી દીધા છે.
યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ મેડિસિન મરિયસ શ્વેબેનલેન્ડ જણાવ્યું હતું કે, ખાસ કરીને અમે એવા માઈક્રોગ્લિયલ નોડ્યુલ્સ શોધી કાઢ્યા છે જે સામાન્ય રીતે તંદુરસ્ત મગજમાં શોધી શકાતા નથી. જર્નલ ઇમ્યુનિટીમાં પ્રકાશિત થયેલા અભ્યાસ માટે ટીમે એક નોવેલ માપનની પદ્ધતિ ઇમેજિંગ માસ સાયટોમેટ્રીનો ઉપયોગ કર્યો હતો. જેથી તેઓ કોષોના જુદા જુદા પ્રકારો તેમજ વાયરસથી સંક્રમિત કોષો અને અત્યાર સુધી જાણ બહાર રહેલી વિગતો મેળવી હતી. ખાસ કરીને માઈક્રોગ્લિયલ તરીકે ઓળખાતી મગજની આવશ્યક રક્ષા કોશિકાઓ સક્રિય થઈ જાય છે. ટી કિલર સેલ્સનું માઈગ્રેસન અને ન્યુરોઈંફ્લેમેશનના વિકાસની પણ નિહાળ્યો હતો. ઈમ્યુન ફેરફારો ખાસ કરીને નાના મગજની વાહિનીઓ નજીક મળી આવે છે. આ વિસ્તારોમાં વાયરલ રીસેપ્ટર ACE2 પર કોરોના વાયરસ ડોક કરી શકે છે. કોરોના વાયરસ પણ ત્યાં મળી આવે છે.