હરિયાણામાં લોકડાઉન 26 જુલાઇ સુધી લંબાવાયું : અગાઉની છૂટછાટો યથાવત
રેસ્ટોરન્ટ્સ, બાર અને ક્લબ્સ હવે રાત્રે 11 સુધી ખુલ્લા રાખી શકાશે
હરિયાણા સરકારે કોવિડ 19 ના કારણે રાજ્યમાં અમલી બનેલા લોકડાઉનનો સમયગાળો વધુ એક અઠવાડિયા વધારવાનો નિર્ણય લીધો છે. હવે તે 26 જુલાઈ સુધી અસરકારક રહેશે. જો કે, રેસ્ટોરન્ટ્સ, બાર અને ક્લબ્સને ખોલવા માટે નિયમો હળવા કરવામાં આવ્યા છે અને હવે તે વધુ એક કલાક એટલે કે રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.
રવિવારે રાજ્યના મુખ્ય સચિવ વિજય વર્ધન દ્વારા જારી કરાયેલા હુકમ મુજબ રોગચાળાની ચેતવણી સુરક્ષિત હરિયાણાને 19 જુલાઈથી (સવારે 5 વાગ્યાથી) 26 જુલાઇ સુધી (સવારે 5 વાગ્યાથી) વધુ એક અઠવાડિયા માટે લંબાવામાં આવ્યું છે.
આ દરમિયાન, દુકાન, મોલ્સ, રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થળો, કોર્પોરેટ ઓફિસોને લોકડાઉનમાં અગાઉ આપવામાં આવેલી છૂટછાટો ચાલુ રહેશે. લગ્ન, સ્મશાન અને જાહેર મેળાવડા માટેની છૂટ પણ પહેલાની જેમ જ ચાલું રહેશે.
અત્રે ઉલ્લેખનિય છે કે કોવિડ 19 ના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને 3 મેના રોજ હરિયાણામાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું અને તેને 11 મી વખત વધારવામાં આવ્યું છે.