કોલેજીયમ વિરૂધ્ધ સરકારમાં સીજેઆઇનુ મહત્વપૂર્ણ પગલુ
૪ દિવસના મંથન પછી જાહેર કરી દીધો આઇબી અને રો નો રિપોર્ટ
નવી દિલ્હી તા. ર૦ : કેન્દ્ર સરકાર અને સુપ્રિમ કોર્ટના કોલેજીયમ વચ્ચેની તકરાર વધારે વધી ગઇ છે. સુપ્રીમ કોર્ટ કોલેજીયમે એવુ પગલું ઉઠાવ્યું છે, જે ભાગ્યે જ કયારેય લેવાયુ હોય, સુપ્રિમ કોર્ટની વેબસાઇટ પર પ્રકાશિત એક સ્ટેટમેંટમાં વિસ્તૃત ખુલાસો કરાયો છે. કે કોલેજીયમ દ્વારા હાઇકોર્ટમાં જજ તરીકેની નિમણુંક માટે અપાયેલ નામોને કેન્દ્ર સરકારે કેમ નકારી દીધા હતા. આ સ્ટેટમેંટમા હાઇકોર્ટમાં જજોની નિમણુંક સંબંધિત ગુપ્તચર એજન્સી રો અને આઇબીના રિપોર્ટ પણ જાહેર કરાયા છે, જે પોતાની રીતે અણધાર્યા છે.
બાર એન્ડ બેંચના એક રિપોર્ટ અનુસાર, કોલેજીયમે દિલ્હી હાઇકોર્ટમાં જજ તરીકે નિમણુંક માટે એડવોકેટ સૌરભ કૃપાલનુ નામ મોકલ્યુ હતું. કેન્દ્ર સરકારે તેમના નામને રિજેકટ કરીને એવો તર્ક રજુ કર્યો કે તે સમલૈંગિક છે. અને પક્ષપાતી બની શકે છે. તેમનો પાર્ટનર વિદેશી છે. કોલેજીયમે આનો જવાબ આપતા કહ્યું છે કે બંધારણ યૌન સ્વાતંત્ર્યની ગેરંટી આપે છે. સૌરભ કૃપાલની નિમણુંકથી દિલ્હી હાઇકોર્ટમાં વિવિધતા આવશે વિદેશી પાર્ટનર હોવો અયોગ્યતાનો આધાર ના બની શકે.
આવી જ રીતે કોલેજીયમે સોમશેખર સુંદરસેન, આરજોન સત્યમના નામો પણ આપ્યા હતા જેને સરકારે વિવિધ કારણો આપીને રીજેકટ કર્યા છે. કોલેજીયમે કેન્દ્રીય કાયદા મંત્રાલયના ન્યાય વિભાગ સામે પણ કડક વાંધો જાહેર કર્યો છ.ે કોલેજીયમે કોલકતા હાઇકોર્ટમાં જજ તરીકે નિમણુંક માટે એડવોકેટ અમિતેશ બેનજી અને શાકય સેનનાનામો સુચવ્યા હતા. જે ર૦૧૯ થી સરકાર પાસે પેન્ડીંગ છે.
એનડીટીવીના એક રિપોર્ટ અનુસાર, ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડીયા (સીજેઆઇ) ડી.વાય. ચંદ્રચુડે ૪ દિવસના વિચાર વિમર્શ અને મંથન પછી કેન્દ્ર સરકારના વાંધાઓનો વિસ્તાર પૂર્વક જવાબ દેવાનો નિર્ણય કર્યો હતો તેમણે નકકી કર્યું આખી વિગત જાહેર કરવામાં આવે જેમાં રો અને આઇબીના રિપોર્ટનો પણ હવાલો આપવામાં આવે અને તેના પર કોલેજીયમનુ શું સ્ટેન્ડ છે એ પણ જણાવવામાં આવે સીજેઆઇ ચંદ્રચુડે સ્ટેટમેન્ટ સાર્વજનિક કરતા પહેલા તેના પર કોલેજીયમના અન્ય સભ્યો સાથે ઉંડી મંત્રણા પણ કરી હતી.