મુખ્ય સમાચાર
News of Tuesday, 20th April 2021

વાયરસના નવા વેરિએન્ટનો ડર

પાકે ભારતીય યાત્રીકો પર લગાવ્યો બેન : બ્રિટને રેડ લિસ્ટમાં કર્યું સામેલ

નવી દિલ્હી,તા.૨૦: ભારતમાં કોરોના સંક્રમણની બેકાબૂ ગતિ માટે જવાબદાર ઠેરવવામાં આવી રહેલા ડબલ મ્યૂટેન્ટ વેરિએ્ટને લઈને દુનિયાના દેશો ડરવા લાગ્યા છે. પાડોશી દેશ પાકિસ્તાને આ વેરિએન્ટથી બચવા માટે ભારતથી યાત્રા પર બે સપ્તાહ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. પાકિસ્તાની સરકારે સોમવારે આ નવા વેરિએન્ટનો હવાલો આપતા કહ્યુ કે, આગામી બે સપ્તાહ સુધી વાયુ અને સડક માર્ગ દ્વારા ભારતથી યાત્રી પાકિસ્તાન નહીં આવી શકે. આ વચ્ચે બ્રિટને ભારતીયોને રેડ લિસ્ટમાં મૂકી ભારતીયોની એન્ટ્રી બેન કરી દીધી છે. બ્રિટને કહ્યુ કે, તેને ત્યાં ભારતીય સ્ટ્રેનના ૧૦૩ કેસ સામે આવ્યા છે.

પાકિસ્તાનની મુખ્ય ન્યૂઝ વેબસાઇટ ડોન પ્રમાણે, નેશનલ કમાન્ડ એન્ડ ઓપરેશન સેન્ટર (NCOC) એ કહ્યું કે, ફોરમની એક બેઠકમાં તે નિર્ણય લેવામાં આવ્યો, જેની અધ્યક્ષતા યોજના અને વિકાસ મંત્રી અસદ ઉમરે કરી. ફોરમને ભારતમાં ફેલાઈ રહેલા ડબલ મ્યૂટેન્ટ વેરિએન્ટ વિશે જણાવવામાં આવ્યું, જેને પાડોશી દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા સંક્રમણ માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું, 'ફોરમે ભારતને બે સપ્તાહ માટે કેટેગરી સીમાં મુકવાનો નિર્ણય કર્યો છે, જેમાં અમે વિમાન અને રોડ માર્ગથી ભારતથી આવી રહેલા યાત્રીકો પર પ્રતિબંધ લગાવસું.' ૨૧ એપ્રિલ બાદ બીજીવાર ફોરમની બેઠક થશે અને તે દેશો પર નિર્ણય લેવામાં આવશે, જયાં ભારતીય વેરિએન્ટ મળ્યો છે.

આ વચ્ચે બ્રિટનમાં પણ ભારતીયોની એન્ટ્રી પર પ્રતિબંધ લાગી ગયો છે. દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસને કારણે બ્રિટને ભારતને રેડ લિસ્ટમાં મુકયુ છે. તેના કારણે ભારતીયોની એન્ટ્રી આગામી આદેશ સુધી બ્રિટનમાં થઈ શકશે નહીં. પરંતુ ભારતના તે લોકોને એન્ટ્રી મળી શકે છે જેની પાસે યૂકે કે પછી આયરિશ નાગરિકતા છે.

બ્રિટિશ પીએમ બોરિસ જોનસને સોમવારે ભારતના પોતાના પ્રસ્તાવિત પ્રવાસને રદ્દ કરી દીધો હતો. ત્યારબાદ સરકારે ભારતને લઈને મોટો નિર્ણય લીધો છે. ભારત પહેલા બ્રિટન તરફથી પાકિસ્તાન સહિત ઘણા દેશોને રેડ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે, જયાં કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મેટ હેનકોકે કહ્યુ કે, ભારતને રેડ લિસ્ટમાં સામેલ કરવામાં આવી રહ્યું છે. આ હેઠળ ભારતીયોની બ્રિટનમાં એન્ટ્રી પર પ્રતિબંધ રહેશે. પરંતુ યૂકે અને આયરિશ નાગરિકતાવાળા લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ લાગૂ રહેશે નહીં. પરંતુ આવા લોકોએ સરકાર તરફથી નક્કી કરવામાં આવેલી કવોરેન્ટાઇન હોટલમાં ૧૦ દિવસ રહેવું પડશે.

(10:22 am IST)