જ્ઞાનવાપી મસ્જિદમાં જુમાની નમાઝ માટે ભારે ભીડ જામતા હોબાળો
પોલીસ - પ્રશાસન એલર્ટ : મસ્જિદનો ગેટ બંધ કરાયો
વારાણસી તા. ૨૦ : આજે સાંજે સુપ્રીમ કોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. દરમિયાન આજે જુમાના રોજ જ્ઞાનવાપીમાં આરાધકોની ભીડ જામી હતી. વહીવટીતંત્ર પણ એલર્ટ પર હતું. પ્રશાસને જ્ઞાનવાપી મસ્જિદની ઈન્તેજામિયા કમિટીને જુમાના દિવસે શાંતિપૂર્ણ રીતે નમાજ અદા કરવા માટે સહયોગની અપીલ કરી છે. આ સાથે જ્ઞાનવાપી કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
જ્ઞાનવાપી કેસમાં કોર્ટમાં સર્વે રિપોર્ટ રજૂ થયા બાદ જિલ્લામાં હાઈ એલર્ટ છે. નમાજ માટે કડક તકેદારી વધારી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈન્તેજામિયા કમિટીની અપીલ પર નમાઝીઓ વુઝુ કરીને ઘરેથી આવ્યા હતા, પરંતુ તેમની સંખ્યા ઘણી વધારે હતી.
ગઈકાલે વારાણસી કમિશનરેટ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં પોલીસ અધિકારીઓએ પણ શાંતિ સમિતિઓની બેઠકોમાં શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ કરી હતી. તેમજ અનેક વિસ્તારોમાં દેખરેખ વધારવા માટે પોલીસ અને પીએસીના જવાનોને ૨૪ કલાક માટે તૈનાત કરવામાં આવ્યા છે. જિલ્લાભરના પોલીસ સ્ટેશન મુજબ મોડી સાંજ સુધી શાંતિ સમિતિની બેઠકો ચાલુ રહી હતી. જેમાં ધર્મગુરૂઓ, પ્રબુદ્ધ લોકોને વિસ્તારમાં સૌહાર્દ જાળવવા અપીલ કરવામાં આવી હતી. કોઈપણ ખોટી માહિતી અથવા અફવા ફેલાવવાના કિસ્સામાં અથવા વિક્ષેપના ભયના કિસ્સામાં, પોલીસને તાત્કાલિક જાણ કરવા કહેવામાં આવ્યું હતું. લક્સામાં પણ વેપારીઓ સાથે પોલીસ અધિકારીઓની બેઠક થઈ હતી.