સિસોદિયાના ઘરે CBIના દરોડા બાદ દિલ્હી સરકારએક્શનમાં :12 IAS ઓફિસરની તાબડતોબ બદલી
નવી દિલ્હી :દિલ્હી એક્સાઈઝ પોલીસીમાં કથિત અનિયમિતતાઓ સબંધે ડેપ્યુટી સીએમ મનીષ સીસોદીયાના આવાસ સ્થાન પર CBIના દરોડાના થોડા કલાકો બાદ જ 12 IAS અધિકારીઓની ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. દિલ્હી સરકારના સેવા વિભાગ દ્વારા જાહેર કરાયેલ ટ્રાન્સફર ઓર્ડર પ્રમાણે જેમનું ટ્રાન્સફર કરવામાં આવ્યું છે તેમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વિશેષ સચિવ ઉદિત પ્રકાશ રાય પણ સામેલ છે જેઓ AGMUT કેડરના 2007 બેચના IAS અધિકારી છે.
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે ભ્રષ્ટાચારના બે કેસમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયરને અન્યાયી રીતે ફાયદો કરાવવા માટે રૂ. 50 લાખની લાંચ લેવાના આરોપસર રાય સામે કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. આદેશ પ્રમાણે રાયની વહીવટી સુધારણા વિભાગમાં વિશેષ સચિવ તરીકે બદલી કરવામાં આવી છે.
બીજી તરફ CBIએ દિલ્હીના CM મનીષ સિસોદિયાને FIRમાં પ્રથમ આરોપી દર્શાવ્યા છે. CBIની આ FIRમાં 15 આરોપી છે. સીબીઆઈએ IPC એક્ટ 1988, 120બી, 477એ વાસ્તવિક ગુના હેઠળ કેસ નોંધ્યો છે. CBIએ શુક્રવારે દિલ્હીની દારૂની નીતિમાં ભ્રષ્ટાચારના આરોપોને લઈને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા, જેનો આમ આદમી પાર્ટી (AAP) સરકાર દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો. CBIએ મનીષ સિસોદિયાના દિલ્હી સ્થિત ઘરે અને સાત રાજ્યોમાં અન્ય 20 સ્થળો પર સર્ચ ઓપર્શન હાથ ધર્યું હતું. ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરવાની અનિવાર્ય મંજૂરી ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ આપી હતી.