મુંબઈમાં ગણપતિ વિસર્જન વેળાએ વર્સોવા બીચ પર ડૂબેલા ત્રણ બાળકોમાંથી બેના મળ્યા મૃતદેહ: એકની શોધખોળ
5 બાળકો દરિયામાં ડૂબી ગયા હતા હાજર લોકોએ 2 બાળકોને બચાવી લીધા
મુંબઈ : ગણેશ મૂર્તિ વિસર્જન દરમિયાન રવિવારે મુંબઈમાં મોટી દુર્ઘટના બની હતી. અહીં વર્સોવા બીચ પર ગણેશ મૂર્તિનું વિસર્જન કરતી વખતે 5 બાળકો દરિયામાં ડૂબી ગયા હતા. ઘટના દરમિયાન બીચ પર હાજર લોકોએ 2 બાળકોને બચાવી લીધા હતા. તે જ સમયે અન્ય ત્રણ ગુમ થયેલા બાળકોમાંથી બેના મૃતદેહ આજે મળી આવ્યા છે અને હજી પણ એક બાળક ગુમ છે.
રવિવારે મુંબઈના વર્સોવા બીચ પર ગણેશ મૂર્તિ વિસર્જન દરમિયાન પાંચ બાળકો ધોવાઈ ગયા હતા. જે બાદ બેને સ્થળ પરથી બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ બાળકો ગુમ હતા. ઘટનાસ્થળેથી બચાવેલા બે બાળકોને સારવાર માટે કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જે બાદ ત્રણ ગુમ થયેલા બાળકોની શોધમાં લાઈફ બોય અને મનીલા રોપ ફ્લડ રેસ્ક્યુ ટીમે એલઈડી લાઈટો દ્વારા ઘટનાસ્થળે અને આસપાસના ક્ષેત્રના ફેરી બોટનો ઉપયોગ કરીને બચાવ અભિયાન ચલાવ્યું હતું.
બીએમસીના જણાવ્યા અનુસાર ત્રણમાંથી બે બાળકોના મૃતદેહ આજે (સોમવારે) મળી આવ્યા છે. જ્યારે હજુ એક બાળક ગુમ છે, જેની શોધ ચાલુ છે. આ વખતે વહીવટીતંત્ર દ્વારા વિસર્જન સરઘસને મંજૂરી આપવામાં આવી ન હતી, પરંતુ તેમ છતાં મોટી સંખ્યામાં લોકો ગણેશ વિસર્જન માટે બહાર નિકળ્યા હતા. વર્સોવા બીચ પર પણ વિસર્જનની મંજૂરી આપવામાં આવી નહોતી. મુંબઈના રાજા તરીકે જાણીતા ગણેશ ગલીના ગણપતિ બાપ્પાનું પણ મુંબઈના ગિરગાંવ ચોપાટી ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું.