દિવાળી વેકેશન પડશે મોંઘુઃ ફલાઈટની ટિકિટના ભાડામાં તોતિંગ વધારો
કેટલાક સ્થળો માટે વિમાનના ભાડામાં ૨૦૦ ટકા જેટલો તોતિંગ વધારો થયો છે : ઉત્તર ભારત ફરવા જવાનું પ્લાનિંગ હોય તો ટિકિટના વધારે રૂપિયા ચૂકવવા પડશે
અમદાવાદ, તા.૨૦: દિવાળી વેકેશન માટે હજી સુધી ફ્લાઈટની ટિકિટ બૂક નથી કરાવી? જો તમે રજાની આ સીઝનમાં ઉત્ત્।ર ભારત તરફ જવાનું વિચારી રહ્યા હો તો ફ્લાઈટની ટિકિટ માટે વધારે રૂપિયા ચૂકવવાની તૈયારી રાખજો-કારણ કે કેટલાક સ્થળો માટે ભાડામાં ૨૦૦ ટકા જેટલો તોતિંગ વધારો થયો છે. તહેવારની સીઝનમાં વધારે ધસારો રહેતો હોવાથી, મુખ્ય શહેરોની ફ્લાઈટના ભાડામાં રોકેટગતિએ વધારો થયો છે. આ ખાસ કરીને ઉત્તર ભારતના સ્થળો માટે છે.
અમદાવાદથી દેહરાદૂન સુધીનું રાઉન્ડ ટ્રિપ વિમાનનું ભાડું ૨૦૦ ટકાથી વધીને ૨૧,૦૯૦ રૂપિયા થયું છે. જયપુર (૧૬૩%) અને ચંડીગઢ (૧૧૪%)ની મુસાફરી પણ મોંઘી થઈ ગઈ છે. તેના માટે તમારે રાઉન્ડ ટ્રિપનું ભાડું અનુક્રમે ૧૧,૮૫૧ રૂપિયા અને ૧૭,૧૫૪ રૂપિયા ચૂકવવું પડી શકે છે. આ ઓનલાઈન ટ્રાવેલ પોર્ટલની સાથે-સાથે શહેર આધારિત ટ્રાવેલ એજન્ટનો અંદાજ છે. અમદાવાદ એરપોર્ટથી દિલ્હીના રાઉન્ડ ટ્રિપની ટિકિટનો ભાવ પણ ૮૮ ટકાથી વધીને ૧૨,૨૭૪ રૂપિયા થઈ ગયો છે.
'આ દિવાળીએ ઉત્ત્।રાખંડ અને હિમાચલપ્રદેશના કેટલાક સ્થળો પસંદગીના વેકેશનના સ્થળો છે', તેમ ટુર ઓપરેટર્સ એન્ડ ટ્રાવેલ એજન્ટ્સ અસોસિએશન ઓફ ગુજરાતના (TAG) પ્રમુખ અનુજ પાઠકે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે 'કેરળમાં પૂર આવતા, મોટાભાગના પ્રવાસીઓએ ફરવા માટે ઉત્તર ભારત પર પસંદગી ઉતારી છે. દિલ્હી, દેહરાદૂન, ચંડીગઢ અને જયપુરમાં કેટલાક હિલ સ્ટેશન માટે સારી રોડ કનેકિટવિટી હોવાથી, આ સ્થળોની ફ્લાઈટ આશરે પૂર્ણ ચાલી રહી છે. તેથી, વિમાનનું ભાડુ આસમાને પહોંચી ગયું છે'.
એરલાઈન્સની સામાન્ય રીતે એક ગતિશીલ ભાવ નીતિ ધરાવે છે, જે માગ અને પુરવઠાના સિદ્ઘાંત પર કાર્ય કરે છે. પાઠકે જણાવ્યું હતું કે 'આ વખતે વધુ લોકો મુસાફરી કરી રહ્યા છે કારણ કે દ્યણા લોકોએ કોવિડ-૧૯ મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષથી બહાર ન જવાનો નિર્ણય લીધો હતો. તેનાથી પણ ઊંચી માગ વચ્ચે વિમાનના ભાડામાં વધારો થયો છે'.
ઉત્તર ભારત સિવાય લોકોમાં ગોવાનું પણ વધારે આકર્ષણ છે. ટ્રાવેલ એજન્ટ્સ અસોસિએશન ઓફ ઈન્ડિયાના (TAAI) વિરેન્દ્ર શાહે કહ્યું હતું કે 'ભારતનું મનપસંદ બીચ ડેસ્ટિનેશન ઓગસ્ટમાં ફરીથી ખુલ્યુ ત્યારથી ગોવા તરફ સારો ધસારો જોવા મળી રહ્યા છે. દિવાળી માટે પણ આવું જ છે. જો કે, વિમાનના ભાડામાં વધારો થવાનું એક કારણ ચોક્કસ ટ્રાવેલ એજન્ટ દ્વારા એકસાથે કરવામાં આવેલુ વધારે બૂકિંગ પણ છે'.
મુંબઈ, બેંગલુરુ, ચેન્નઈ અને કોલકાતા જેવા મોટા શહેરોના વિમાની ભાડામાં પણ વધારો નોંધાયો છે. ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોએ કહ્યું હતું કે, તેનું મુખ્ય કારણ સ્થળાંતર કરનારી વસ્તીનો મોટો ભાગ પરિવારની મુલાકાત લેવા જવાનું પણ છે.