મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

ઉત્તર કાશ્મીરને બદલે પૂર્વથી ઘૂસણખોરી કરતા ત્રાસવાદી

પાડોશી દેશ પાકિસ્તાનની નાપાક હરકતો જારી : જમ્મુના સામ્બા અને હિરાનગરના વિસ્તારો આતંકવાદી ઘૂસણખોરી પ્રત્યે સંવેદનશીલ હોવાનું કહેવાય છે

જમ્મુ, તા. ૧૯ : ઉત્તર કાશ્મીરમાં બરફવર્ષાને કારણે આતંકીઓની ઘૂસણખોરીનો રસ્તો બંધ થઈ રહ્યો છે, જેથી પૂર્વમાં જૈશની આત્મઘાતી ટુકડીના આતંકીઓ ઘૂસણખોરી કરી રહ્યા છે. જમ્મુના સામ્બા અને હિરાનગરના વિસ્તારો આતંકવાદી ઘૂસણખોરી પ્રત્યે સંવેદનશીલ હોવાનું કહેવાય છે, જ્યારે કાશ્મીરના કુપવાડાના નૌગામ, કેરાન અને તંગધાર વિસ્તારો પાકિસ્તાની આતંકવાદીઓની ઘૂસણખોરી માટે સંવેદનશીલ રહ્યા છે. એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે કાશ્મીરમાં એલઓસી સરહદથી જોડાયેલા ચાર જિલ્લાઓમાં ભારે બરફવર્ષાને કારણે હિમપ્રપાતની ચેતવણી આપવામાં આવી છે, તેથી આતંકવાદીઓ આ માર્ગ દ્વારા ઘુસણખોરી કરવાને બદલે જમ્મુ માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી પૂર્વે પાકિસ્તાની આતંકવાદીઓનું એક મોટું ષડયંત્ર નિષ્ફળ ગયું છે. પાકિસ્તાનમાંથી આતંકવાદીઓની ઘૂસણખોરી બાદ, તેઓ જમ્મુથી શ્રીનગર જઇ રહ્યા હતા ત્યારે નાગરોટા નજીક એક ટ્રકમાં સુરક્ષા એજન્સીઓએ તેમનો ખાત્મો બોલાવ્યો હતો. સીઆરપીએફે જણાવ્યું કે સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસને સામ્બાથી નાગરોટા ટોલ પ્લાઝા તરફ ૪ આતંકીઓની હિલચાલના સમાચાર મળ્યા હતા. આ પછી તેઓને ઘેરી લેવામાં આવ્યા હતા અને બધા આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો. તેમની પાસેથી ૧૧ એકે ૪૭ રાઇફલો મળી આવી છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ આતંકવાદીઓ જેશ-એ-મોહમ્મદના હોઈ શકે છે. આ એક્નાઉન્ટરમાં એક સૈનિક પણ ઘાયલ થયો હોવાના અહેવાલ છે. નાગરોટા નજીકના જે વિસ્તારમાં આતંકવાદીઓ સાથેનું એક્નાઉન્ટર થયું હતું તે જગ્યા અગાઉ પણ અનેક બળવાખોર કાર્યવાહીની સાક્ષી રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં જમ્મુને અડીને આવેલી સરહદમાંથી ઘૂસણખોરી થયા બાદ આતંકવાદીઓ આ માર્ગે કાશ્મીરમાં પ્રવેશવાનું કાવતરું કરતા જોવા મળી રહ્યા છે. થોડીક નજર કરીએ તો, આ વર્ષે ફેબ્રુઆરીમાં, નગરોટામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એક્નાઉન્ટર થયું હતું.

૧ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ નગરોટાના આ ટોલ પ્લાઝા નજીક પાકિસ્તાની આતંકવાદીઓને લઈ જઈ રહેલી એક ટ્રક રોકી હતી. આ આતંકીઓને સીઆરપીએફના જવાનોએ અટકાવ્યા હતા. આ દરમિયાન આતંકવાદીઓએ ફાયરિંગ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ ૩ હુમલાખોરોનું ઢીમ ઢાળી દીધા હતા. આ તમામ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના હતા, જેમણે જમ્મુ પાસે આવેલ આંતરરાષ્ટ્રીય સરહદમાંથી ઘૂસણખોરી કરી હતી.

આતંકીઓ તરફથી આ ઘૂસણખોરી એવા સમયે કરવામાં આવી છે જ્યારે ડીજીપી દિલબાગસિંહે બે દિવસ પહેલા કહ્યું હતું કે પાકિસ્તાની આતંકીઓ સરહદ અને એલઓસી દ્વારા ઘૂસણખોરીનું કાવતરું ઘડી રહ્યા છે. ડીજીપીએ કહ્યું કે પાકિસ્તાની એજન્સીઓએ અહીં ડીડીસીની ચૂંટણીમાં આતંકવાદી હુમલાની યોજના બનાવી છે, જેના કારણે સાવચેતી રાખવામાં આવી રહી છે. ડીજીપી અને ગુપ્તચર એજન્સીઓના ઇનપુટ્સ આ વખતે બિલકુલ સાચા પડ્યા હતા. અને નાગરોટામાં ઘૂસણખોરી બાદ શ્રીનગર જતા આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. મોટી વાત તો એ છે કે ફરી જમ્મુના રસ્તેથી આતંકવાદીઓની ઘુસણખોરી કરવાની વાત બહાર આવી રહી છે.

જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરી કરવાવાળા આતંકવાદીઓને પાકિસ્તાની સેના દ્વારા ગોળીબારની આડમાં ભારતીય ક્ષેત્રમાં ઘુસાડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આતંકીઓએ ફરી એકવાર સામ્બા અથવા અન્ય કોઈ આંતરરાષ્ટ્રીય સરહદની આજુબાજુની ગુપ્ત ટનલ દ્વારા ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી હોઈ શકે છે. જો આપણે ભૂતકાળ પર નજર કરીએ તો, આ વર્ષે આવી જ કેટલીક આતંકી ટનલ મળી આવી છે, જેના દ્વારા અહીં ઘુસણખોરી કરવામાં આવતી રહી છે.

ઓગસ્ટ ૨૦૨૦માં બીએસએફ અને સૈન્યએ સામ્બા સરહદ પર આવી ઘણી ટનલ પકડી પાડી હતી, જે પાકિસ્તાની રેન્જર્સ અને આઈએસઆઈના નેતૃત્વમાં સરહદ વિસ્તારમાં બનાવવામાં આવી હતી.

(12:00 am IST)