મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

ક્રિકેટનો સટ્ટો કાયદેસર કરવા વિચારણા

કેન્દ્રીય મંત્રીએ આપ્યો નિર્દેશઃ સરકારને પણ હજારો કરોડની આવક થશે

મુંબઇ,તા. ૨૦: ભારત સરકાર ક્રિકેટમાં સટ્ટાબાજીને લીગલ કરવા પર વિચાર કરી રહી હોવાની વાત  કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે એક કાર્યક્રમમાં કહી છે. સટ્ટો કાયદેસર થવાથી સરકારને હજારો કરોડ રૂપિયાની આવક થશે એમ BCCIના પૂર્વ અધ્યક્ષ અનુરાગે કહ્યું હતું.

અનુરાગે એક કાર્યક્રમમાં કહ્યું કે, સટ્ટાને કાયદેસર કરવાનો પ્રસ્તાવ તમારા લોકોના માધ્યમથી સામે આવ્યો છે. તે વૈશ્વિક સ્તરે ક્રિકેટમાં સટ્ટો કાયદેસર છે, પછી ઓસ્ટ્રેલિયા હોય કે ઇંગ્લેન્ડ કે અન્ય કોઈ દેશ. જોવામાં આવે તો તેનાથી દેશને હજારો કરોડ રૂપિયાની રેવન્યૂ મળે છે, જે રમતગમત અને બાકીના વિસ્તારોમાં ખર્ચવામાં આવે છે.

તેમણે ઉમેર્યું કે, મેચ ફિકિસંગની જે સમસ્યા છે, તેનો ટ્રેન્ડ જોવામાં આવે તો બેટિંગથી તેની પણ જાણકારી મળી જાય છે કે ફિકિસંગ થયું છે કે નહીં. સટ્ટાને કાયદેસર કરવાથી ફિકિસંગને રોકવા માટેનું એક અસરકારક પગલું સાબિત થઇ શકે છે. અમારે આની સંભાવનાઓ વિશે વિચારવું જોઈએ. બેટિંગ એક સિસ્ટમેટિક રીતે થાય છે અને સિસ્ટમ ફિકિસંગમાં સામેલ લોકોની દેખરેખ રાખવામાં મદદરૂપ થઈ શકે છે.

ક્રિકેટ રમનાર ૫ મોટા દેશો એવા પણ છે કે, જયાં સટ્ટો કાયદેસર છે, આ પાંચ દેશોમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ છે. ભારતમાં ડ્રિમ-૧૧ જેવી કંપનીઓ પર બેટિંગ અંગે અવારનવાર પ્રશ્નો ઉઠે છે. પરંતુ સુપ્રીમ કોર્ટે તમામને કલીન ચિટ આપી દીધી છે. કોર્ટનું માનવું છે કે, આ એનાલિસિસની ગેમ છે અને સટ્ટાબાજી નથી. તેથી ડ્રિમ-૧૧ અને તેના જેવી કંપનીઓને કલીન-ચિટ આપવામાં આવી છે.

(9:42 am IST)