મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

યુપીઃ પ્રતાપગઢમાં ગંભીર અકસ્માતઃ બોલેરો ટ્રક સાથે ટકરાતાં ૧૪ જાનૈયાઓનાં મોત

બોલેરાના ડ્રાઇવરને ઝોકું આવી જતા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને રસ્તા કિનારે ઊભેલી ટ્રક સાથે ટકરાતાં બની કરૂણાંતિકા

લખનૌ,તા. ૨૦: પ્રતાપગઢમાં એક માર્ગ અકસ્માતમાં ૧૪ લોકોનાં કરૂણ મોત થયા છે. આ અકસ્માત માનિકપુર પોલીસ સ્ટેશનની હદના દેશરાજ ઈનારામાં થયો છે જયાં જાનૈયાઓથી ભરેલી બોલેરા અનિયંત્રિત જઈને રસ્તા કિનારે ઊભેલી ટ્રક સાથે ટકરાઇ ગઈ. આ ભીષણ અકસ્માતમાં ૧૪ જાનૈયાઓના મોત થયા છે. અત્યાર સુધીની મળતી જાણકારી મુજબ ડ્રાઇવરને ઝોંકું આવી ગયું જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ.

મળતી જાણકારી મુજબ, જાનૈયા નવાબગંજ પોલીસ સ્ટેશનની હદના શેખપુર ગામમાં લગ્ન પ્રસંગમાં સામેલ થઈને ઘરે પરત જઈ રહ્યા હતા. દુર્ઘટનાનો શિકાર બનેલા ૧૪ લોકોમાં ૬ બાળકોનો પણ સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને બોલેરોને ગેસ કટરથી કાપીને તમામ ૧૪ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. દુર્ઘટના એટલી ભયાનક હતી કે આ રેસ્કયૂ કાર્ય હાથ ધરવામાં પોલીસ ટીમને લગભગ બે કલાકનો સમય લાગી ગયો. પોલીસે તમામ મૃતદેહોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

આ દુર્ઘટનાનો શિકાર બનેલા ૧૨ જાનૈયા કુંડા પોલીસ સ્ટેશનની હદના જિગરાપુરા ચૌસા ગામના રહેવાસી છે, જયારે બોલેરો ચાલક સહિત બે લોકો કુંડા વિસ્તારના અન્ય ગામના રહેવાસી છે. દુર્ઘટનાની જાણ થતાં જ એસપી મોટી સંખ્યામાં પોલીસ દળની સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

માનિકપુર વિસ્તારમાં થયેલા માર્ગ અકસ્માતમાં તમામ ૧૪ જાનૈયાઓના મોત થયા છે. મૃતકોમાં બાળકો પણ સામેલ છે. નોંધનીય છે કે દુર્ઘટનામાં બબ્બૂ, દિનેશ, પવન કુમાર, દયારામ, અમન, રામસમુજ, અંશ, ગૌરવ, નાના ભૈયા, સચિન, હિમાંશુ, મિથિલેશ, અભિમન્યૂ, પારસ નાથ યાદવના મોત થયા છે.

(9:45 am IST)