મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

ટીમ ઈંડિયાના ફાસ્ટ બોલર મોહમ્મ્દ સિરાજના પિતાનું નિધન : સિરાજ હાલ ઓસ્ટ્રેલિયામાં ક્વોરેન્ટાઇન : અંતિમક્રિયામાં નહીં થઇ શકે સામેલ

મોહમ્મદ સિરાજની સફળતામાં તેના પિતાનો મોટો ફાળો : સિરાજે કહ્યું મારા પિતા મારા માટે ઓટો રિક્ષા ચલાવતા

મુંબઈ : ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયામાં પસંદગી પામેલા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના પિતા મોહમ્મદ ગૌસનું નિધન થયું છે,સિરાજના પિતા ફેફસાની બિમારીથી પીડિત હતા. મોહમ્મદ સિરાજને સેશન સત્ર પૂર્ણ થયા પછી આ મહિતી આપવામાં આવી હતી.જોકે મોહમ્મદ સિરાજ તેમના પિતાની અંતિમ ક્રિયામાં સામેલ થઇ શકશે નહીં.સિરાજ હાલ ઓસ્ટ્રેલિયામાં ક્વારન્ટાઇન છે જેથી તે પિતાની અંતિમ ક્રિયામાં સામેલ નહીં થઇ શકે.

સિરાજે જણાવ્યું કે મારા પિતા હંમેશાથી ઇચ્છતા હતા કે હું દેશનું નામ રોશન કરુ અને હું નિસંદેહપણે આમ કરીશ. તેણે વધુમાં જણાવ્યું કે મારા પિતા મારા માટે ઓટો રિક્ષા ચલાવતા હતા. તાજેતરમાં થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતુ અને તેના પ્રદર્શનના કારણે જ તેની ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદગી થઇ છે

  અત્રે ઉલ્લેખનીય છે કે મોહમ્મદ સિરાજ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેણે 2016-17ની રણજી સિઝનમાં 41 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ સનરાઇઝર્સ હૈદરાબાદે તેને 2.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ રૂપિયાથી સિરાજે તેના પિતા અને પરિવાર માટે મોટું મકાન ખરીદ્યું હતુ. આ પછી, સિરાજે વર્ષ 2017માં ભારત તરફથી ટી20 માં ડેબ્યૂ કર્યું હતુ અને 2019માં તેણે ઓસ્ટ્રેલિયા સામે વનડે ડેબ્યૂ પણ કર્યું હતું. જો કે, તે તેની પ્રતિભા મુજબ પ્રદર્શન કરી શક્યો નહીં. સિરાજની હાલની આઇપીએલ સીઝન સારી રહી હતી જેના કારણે તેની પસંગગી ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે થઇ છે. .

(10:25 pm IST)