મુખ્ય સમાચાર
News of Saturday, 21st November 2020

રાહુલ ગાંધી પર આંગળી ચિંધનારા સામે કોંગ્રેસ કાર્યવાહી કરશે

બિહારની ચૂંટણીઓમાં પક્ષના દેખાવ બાદ ધમાસણ : રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવનાર પૂર્વ સાંસદ ફુરકાન અંસારીને કારણદર્શક નોટિસ જાહેર કરી જવાબ માંગવામાં આવ્યો

નવી દિલ્હી, તા. ૨૦ : બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ઉંધા કાન પટકાયેલી કોંગ્રેસમાં બરાબરનું ઘમાસાણ જામ્યું છે. કોંગ્રેસના જ કેટલાક વરિષ્ઠ નેતાઓએ પાર્ટી હાઈકમાન્ડ પર આકરા પ્રહારો કર્યા છે. હવે રાહુલ ગાંધી વિરૂદ્ધ અવાજ ઉઠાવનારાઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવાની તૈયારીઓ હાથ ધરી દીધી છે.

પાર્ટીમાં ચાલી રહેલા ઘમાસાણને જોતાં હવે હાઇકમાન્ડ પણ એક્શન લેવાના મૂડમાં જોવા મળી રહી છે. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવનારા પૂર્વ સાંસદ ફુરકાન અંસારીને કારણદર્શક નોટિસ જાહેર કરી જવાબ માંગવામાં આવ્યો છે.

કોંગ્રેસ પાર્ટી હાઇકમાન્ડ ફુરકાન અંસારીને નોટિસ મોકલીને અન્ય નેતાઓને સંદેશ આપવા આપવા માંગે છે કે, કૉંગ્રેસના નેતા કંઈ પણ બોલતા પહેલા વિચારે. ફુરકાન અંસારીને નોટિસ આપવાની સાથે જ જે નેતા પાર્ટીથી બળવાનું વલણ દર્શાવી રહ્યા છે કે વરિષ્ઠ નેતૃત્વ પર ઘણા લાંબા સમયથી સવાલ ઊભા થઈ રહ્યા છે, તેમને પણ નોટિસ આપવાનો રસ્તો સાફ થઈ ગયો છે. અન્ય નેતાઓ વિરુદ્ધ પણ કાર્યવાહીની માંગ થઈ ઉગ્રપાર્ટી સાથે જોડાયેલા એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, અનુશાસન પાર્ટીના તમામ સભ્યો માટે એક સમાન છે. ફુરકાન અંસારીને કારણદર્શક નોટિસ આપ્યા બાદ અન્ય અસંતુષ્ટ નેતાઓની વિરુદ્ધ પણ કાર્યવાહીની માંગ તેજ થઈ જશે. જોકે પાર્ટીએ હજુ સુધી કોઈ પણ નેતાની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરી પરંતુ હવે લાગી રહ્યું છે કે કેટલાક નેતાઓ પર એક્શન લેવામાં આવી શકે છે.

કોંગ્રેસના આ નેતાએ કહ્યું હતું કે, આમ કરવું હવે અનિવાર્ય બની ગયું છે કારણ કે નવા અધ્યક્ષની ચૂંટણી માટેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ટૂંક સમયમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવશે.

(12:00 am IST)