મુખ્ય સમાચાર
News of Saturday, 21st November 2020

શ્રમ મંત્રાલયે તૈયાર કર્યો પ્રસ્તાવ

કામકાજના કલાકો ૮ નહિ હવે ૧૨ થશે !

નવી દિલ્હી: તા.૨૧:શ્રમ તેમજ રોજગાર મંત્રાલયએ સંસદમાં હાલમાં જ પસાર કરેલા એક સંહિતામાં કાર્યના કલાકને વધારી મહત્ત્।મ ૧૨ કલાક પ્રતિદિવસ કામ કરવાનો પ્રસ્તાવ મૂકયો છે. અત્યારે કામ દિવસમાં મહત્ત્।મ ૮ કલાક કરવામાં આવે છે.

મંત્રાલયે વ્યવસાયિક સુરક્ષા, સ્વાસ્થ્ય, તેમજ કાર્ય શરત (Occupational Safety, Health and Working Conditions) એટલે કે OSH કોડ ૨૦૨૦ના નિયમો હેઠળ પ્રસ્તાવ મૂકયો છે. નવા કામના સમયગાળા વચ્ચે ટૂંકા ગાળાની રજા પણ શામેલ છે. જો કે, ૧૯ નવેમ્બર ૨૦૨૦નારોજ જાહેર કરાયેલા આ ડ્રાફ્ટમાં, સાપ્તાહિક કામના કલાકો ૪૮ કલાક જાળવી રાખવામાં આવ્યા છે. વર્તમાન જોગવાઈઓમાં, વર્ક સપ્તાહ ૮ કલાકના વર્કડેમાં ૬ દિવસનો હોય છે, જેમાં એક દિવસ રજા હોય છે.

શ્રમ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, 'આ કામ ભારતની પ્રતિકૂળ આબોહવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, જયાં કામ આખા દિવસમાં વહેંચાયેલું હોય છે. આથી શ્રમિકોને ઓવરટાઇમ ભથ્થાના માધ્યમથી વધુ કમાણી કરવામાં સરળતા મળશે. 'અધિકારીએ એમ પણ કહ્યું કે,' અમે ડ્રાફ્ટ નિયમોમાં જરૂરી જોગવાઈઓ કરી છે, જેથી આઠ કલાકથી વધુ કામ કરતા તમામ કામદારો ઓવરટાઇમ મેળવી શકે.

OSH સંહિતાના ડ્રાફટના નિયમો અનુસાર, કોઈપણ દિવસે ઓવરટાઇમની ગણતરી કરવામાં ૧૫થી ૩૦ મિનિટ સમય ગણવામાં આવશે. વર્તમાન સિસ્ટમ હેઠળ, ૩૦ મિનિટથી ઓછા સમયને ઓવરટાઇમ તરીકે ગણવામાં આવતો નથી.

આ ડ્રાફ્ટમાં નિયમ આપવામાં આવ્યો છે કે, 'કોઇ પણ શ્રમિક કોઈ પણ સંસ્થામાં અઠવાડિયામાં ૪૮ કલાકથી વધુ સમય માટે કામ કરવાની જરૂર રહેશે નહીં કે તેને આમ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કામના કલાકોની ગોઠવણ એવી રીતે કરવી જોઈએ કે વિશ્રામ માટેના અંતરાલ સમય સહિત, કોઈપણ દિવસે કામના કલાકો ૧૨થી વધુ ન હોવી જોઈએ.

ડ્રાફ્ટ અનુસાર, કોઈપણ વ્યકિત ઓછામાં ઓછા અડધા કલાકના ઇન્ટરવલ વગર પાંચ કલાકથી વધારે સતત કામ કરશે નહીં. સપ્તાહના હિસાબથી દરરોજ કાર્યના કલાક એ રીતે નક્કી કરવાના રહેશે કે આખા અઠવાડીયામાં ૪૮ કલાકથી વધારે થઈ શકે નહીં.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ કેન્દ્રીય શ્રમ તેમજ રોજગાર મંત્રાલયે સામાજિક સુરક્ષા સંહિતા ૨૦૨૦ના ડ્રાફ્ટ એકટને સૂચિત કરી વાંધા અને સૂચનો માંગવામાં આવ્યા છે.

(9:43 am IST)