ઉત્તર-દક્ષિણ બન્ને દિશાઓમાંથી આવી પડતા આતંકીઓ વચ્ચે પીસાતુ જમ્મુ
(સુરેશ ડુગ્ગર) જમ્મુ : એક તરફ કાશ્મીર અને બીજી તરફ પંજાબ એમ ઉત્તર અને દક્ષિણ બન્ને તરફથી ઘુસતા આતંકીઓની વચ્ચે જમ્મુ પીસાઇ રહ્યુ છે.
કેમ કે આ આતંકીઓનો ડોળો સુપ્રસિધ્ધ તીર્થસ્થાન વૈષ્ણોદેવી પર છે. સાથે જમ્મુની અર્થવ્યવસ્થા ખોરવી દેવાની મુરાદ પણ હોય છે.
૨૦૧૮ માં થયેલ હુમલા પછી વૈષ્ણોદેવી તીર્થસ્થાનની સુરક્ષા વ્યવસ્થા એટલા માટે જ સઘન બનાવવામાં આવી છે. મળતી સુચનાઓ એવુ સ્પષ્ટ કહે છે કે આતંકિઓ વૈષ્ણોદેવી તીર્થસ્થાન પર નજર માંડીને બેઠા છે. આ પહેલા પંજાબના રસ્તે જમ્મુના સાંબા સુધી પહોંચી ચુકેલ આતંકીઓનું નિશાન પણ વૈષ્ણોદેવી હોવાનું ખુલ્યુ હતુ.
થોડા સમય પહેલા જમ્મુ સીમા પર બાબા ચમલિયાલની પવિત્ર દરગાહ પાસે થયેલ આત્મઘાતી હુમલો અને ત્યાર પછી પાક સેના દ્વારા શરૂ થયેલ ગોળીબારીએ બોર્ડર ટુરીઝમ પર વિરામ લગાવી દીધો છે. અત્યાર સુધી બાબા ચમલિયાલની દરગાહ પર આવુ કયારેય બન્યુ નહોતુ. જે હવે બની રહ્યુ છે.