દેશને નુકશાન પહોંચાડવા ઈસ્લામનો દુરૂપયોગ કર્યો
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને દેશના રાજકીય પક્ષો પર નિશાન તાક્યું : પૈગંબર સાહેબ ના કેસને આંતરરાષ્ટ્રીય ફોરમ પર ઉઠાવવા અન્ય મુસ્લિમ દેશો સાથે ઝુંબેશ શરૂ કરવાની પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ની જાહેરાત
ઇસ્લામાબાદ, તા. ૨૦ : પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પોતાના દેશના રાજકીય દળો અને ધાર્મિક જૂથો પર નિશાન તાક્યું છે. તેમના કહેવા પ્રમાણે રાજકીય દળો અને ધાર્મિક જૂથોએ દેશને નુકસાન પહોંચાડવા માટે ઈસ્લામનો દુરૂપયોગ કર્યો છે. વધુમાં તેમણે પોતે પૈગંબર સાહેબ સાહેબ મોહમ્મદના કેસને આંતરરાષ્ટ્રીય ફોરમ પર ઉઠાવવા અન્ય મુસ્લિમ દેશો સાથે ઝુંબેશ શરૂ કરવાના છે તેમ જણાવ્યું હતું.
તહરીક-એ-લબ્બૈકના હિંસક પ્રદર્શનો તરફ ઈશારો કરતા ઈમરાન ખાને કહ્યું કે, પાકિસ્તાનનું આ બહું મોટુ દુર્ભાગ્ય છે કે, ઘણી વખત આપણા રાજકીય દળો અને ધાર્મિક જૂથો ઈસ્લામનો ખોટી રીતે ઉપયોગ કરે છે અને તેનો એવી રીતે ઉપયોગ કરે છે કે, પોતાના જ દેશને નુકસાન પહોંચાડે છે.
ઈમરાન ખાને કહ્યું કે, પાકિસ્તાનના લોકો પૈગંબર સાહેબ સાહેબ મોહમ્મદને પ્રેમ કરે છે. પરંતુ ઘણી વખત આ પ્રેમનો ખોટો ઉપયોગ કરવામાં આવે ત્યારે હું દુખી થઈ જાઉં છું. શું સરકાર આને લઈ ચિંતિત નથી. શું પૈગંબર સાહેબ મોહમ્મદનો અનાદર થાય છે તો અમને તકલીફ નથી થતી?
પાકિસ્તાનમાં તહરીક-એ-લબ્બૈકના નેતા સાદ રિઝવીની ધરપકડના વિરોધમાં છેલ્લા કેટલાક દિવસથી અનેક શહેરોમાં હિંસક પ્રદર્શન ચાલી રહ્યું છે. આ સંગઠન પાકિસ્તાનમાં રહેલા ફ્રાંસના રાજદૂતને પાછા મોકલવાની માંગણી કરી રહ્યું છે. હકીકતે ગત વર્ષે ફ્રાંસમાં એક કાર્ટૂન પ્રકાશિત થયું હતું જેને ઈશનિંદાનું ઉદાહરણ ગણાવીને ફ્રાંસીસી રાજદૂતને હાંકી કાઢવાની માંગ સાથે હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે.
ઈમરાન ખાને જણાવ્યું કે, પોતાના દેશી સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડીને તોડફોડ કરવાનો કોઈ અર્થ નથી. જ્યાં ગુનો થયો છે તે દેશને આપણે નુકસાન નથી પહોંચાડી રહ્યા, આપણે આપણા જ દેશને નુકસાન પહોંચાડી રહ્યા છીએ.