મુખ્ય સમાચાર
News of Wednesday, 21st April 2021

એર ઈન્ડિયાની વિદેશી ટિકિટોના થતા કાળા બજાર રોકવા રજૂઆત

સ્પેશિયલ ફ્લાઈટ ઓપરેટ કરતી એર ઈન્ડિયા : ગુજરાતના એજન્ટોએ સોશિયલ મીડિયા અને ઇમેલના માધ્યમથી ઉડ્ડયન મંત્રાલય-વડાપ્રધાનને રજુઆત કરી

અમદાવાદ, તા.૨૧ : વંદે ભારત મિશન હેઠળ સ્પેશિયલ ફ્લાઇટ ઓપરેટ કરી રહેલી એર ઇન્ડિયામાં હજુ પણ વિદેશની ટિકિટોમાં કાળા બજાર થતી હોવાની ફરિયાદો યથાવત છે. ખાસ કરીને અમેરિકા અને કેનેડા જનાર ભારતીય સ્ટુડન્ટ તેમજ ઇમરજન્સી માં જનાર  મુસાફરો પાસેથી એર ઇન્ડિયા ત્રણથી ચાર ગણા ભાડા વસૂલી રહી છે. એર ઇન્ડિયા દ્વારા થતા ટિકિટના કાળા બજાર પર રોક લગાવવા ગુજરાતના આઇટા એજન્ટોએ સોશિયલ મીડિયા અને ઇમેલ ના માધ્યમથી ઉડ્ડયન મંત્રાલય અને વડાપ્રધાનને રજુઆત કરી છે.

ગુજરાતમાંથી અમેરિકા અને કેનેડા જનાર સ્ટુડન્ટની સંખ્યા વધી રહી છે. વિદેશમાં અભ્યાસ માટે જનાર હજારો વિદ્યાર્થીઓ દેવું કરીને ઊંચા વ્યાજે રૂપિયા લાવીને પોતાની ફી ભરતા હોય છે  ત્યારે કોરોના મહામારી વચ્ચે  ફક્ત એર ઇન્ડિયા સ્પેશિયલ ફ્લાઇટ ઓપરેટ કરી રહી છે. મુસાફરો અને સ્ટુડન્ટ પાસે અન્ય એક કોઈ ફ્લાઇટ નો વિકલ્પ ન હોવાથી એર ઇન્ડિયા ગેર ફાયદો ઉઠાવી ટિકિટ ત્રણથી ચાર ગણા ભાડા વસુલી રહી છે. સામાન્ય રીતે અમેરિકા અને કેનેડાના  વન વે ભાડા રૂ ૩૫થી રૂ ૭૦ હજારની આસપાસ ચાલી રહ્યા હતા. ત્યારે હાલમાં એર ઇન્ડિયા દોઢ લાખથી લઇને બે લાખ સુધીના વન-વે ભાડા વસૂલી ઉઘાડી લૂંટ ચલાવી રહી છે.

સૌથી વધુ ગુજરાતીઓ વિદેશમાં સ્થાયી થયા છે એટલા માટે જ એર ઇન્ડિયામાં થતા ટિકિટોના કાળાબજાર ઉભો ગુજરાતીઓ બની રહ્યા છે. કમ નસીબની વાત એ છે કે, એર ઇન્ડિયા ને સૌથી વધુ બિઝનેસ ગુજરાત માંથી મળે છે ત્યારે ગુજરાતના એર ઇન્ડિયાના મેનેજરને દિલ્હી એર ઇન્ડિયાએ રબર સ્ટેમ્પ બનાવી દીધા છે. આમ, ગુજરાતના લોકોની ફરિયાદ સાંભળનાર અહીંયા કોઈ નથી.એર ઇન્ડિયાની ટિકિટોના  કાળા  બજારથી ગુજરાતીઓ પાસેથી વસુલાતા ઊંચા ભાડાને લઇ ત્રસ્ત છે. જો સરકાર કાળા બજાર કરનાર સામે  કડક કાર્યવાહી કરી રહી છે તો કરોડો રૂપિયાની ટિકિટો માં થતી કાળાબજારી કરનાર ઇન્ડિયા પર કોઈ કાર્યવાહી કેમ નથી થઇ ? જેવા અનેક વેધક પ્રશ્ન ઉઠી રહ્યા છે.

ગુજરાત ટાફી ના એક અધિકારીના જણાવ્યા મુજબ ઇન્ડિયા ટિકિટના કાળા બજાર નો અડ્ડો બની ગયું છે. હાલમાં એર ઇન્ડિયાએ આઇટા રજીસ્ટર ટ્રાવેલ એજન્ટો પાસેથી ટિકિટ ઇસ્યુ કરવા માટેનું એક્સેસ બંધ કરી દીધું છે. કારણે મુસાફરો કે સ્ટુડન્ટ અને સરળતાથી ટિકિટ ઉપલબ્ધ થતી નથી. એર ઇન્ડિયાના ઓનલાઇન ટિકિટ બુકિંગ પોર્ટલ પણ બરાબર કામ કરતું ન હોવાની પણ વ્યાપક ફરિયાદો મળી રહી છે. તેમને ઉડ્ડયન મંત્રાલયને વિનંતી કરી છે કે એર ઇન્ડિયામાં કામ કરી રહેલા બેજવાબદાર અધિકારીઓને હટાવીને કાર્યક્ષમ લોકોને મૂકવામાં આવે તો એર ઇન્ડિયાની ટિકિટમાં થતી કાળાબજારી પર નિયંત્રણ લાવી શકાય અને અમને એક મદદ પણ મળી રહે.

નોંધનીય છે કે થોડા સમય પહેલાં એર ઇન્ડિયાની ટિકિટમાં તથા કાળા બજાર પર દિલ્હીના કેટલાક એજન્ટો ની બહાર આવી હતી જેમાં અમદાવાદના પણ કેટલાક એજન્ટો ના તાર જોડાયેલા છે હજુ પણ આ એજન્ટો બિન્દાસ ટિકિટનું બ્લેક મેઇલિંગ કરી મુસાફરોને ઊંચા ભાવે ટિકિટ આપી ખંખેરવાનું શરૂ રાખ્યું છે.આ બધું એર ઇન્ડિયાના અધિકારીની સંડોવણી સિવાય શક્ય નથી.

એર ઇન્ડિયા માં કામ કરતા ઘણા કર્મચારીઓ ની પોતાની બીજાના નામ પર થી ટ્રાવેલ એજન્સીઓ પણ શરૂ કરી દીધી છે અને પોતાના માનીતા એજન્ટોને પણ સસ્તા દરે ટિકિટો આપી કાળા બજારી કરવામાં આવી રહી જેમાં એજન્ટો પાસેથી મસમોટું કમિશન પણ લેતા હોય છે.

જો તેની તપાસ કરવામાં આવે તો મસમોટુ કૌભાંડ બહાર આવે તેમ છે.આ પ્રકારની થતી કામગીરી સામે ખુદ એર ઇન્ડિયાના કર્મચારીઓને જ એર ઇન્ડિયાને બદનામ કરી રહ્યા છે અને પૂરા દેશ વિદેશમાં તેનું નામ ખરાબ થઈ રહ્યું છે.

(8:36 pm IST)