ઉંમરમાં ૨૦ વર્ષ મોટો પતિ પસંદ નહોતો : પત્નીએ તેનું ગુપ્તાંગ દબાવી કરી ઘાતકી હત્યા
ચાર વર્ષથી અલગ રહેતી પત્નીએ પતિને વાત કરવા માટે બોલાવ્યો, કોફીમાં ઘેનની દવા નાખી અને પછી તેનો ખેલ જ ખતમ કરી નાખ્યો : ૨૦ વર્ષ મોટા પુરુષ સાથે થયા હતા મહિલાના લગ્ન, એક યુવક સાથે પ્રેમ થઈ જતાં કરી પતિની હત્યા : પિતાની હત્યા, માતા જેલમાં.. બે નાના બાળકો બની ગયા અનાથ : લાશ પર એકેય નિશાન ના દેખાય તે રીતે મર્ડર કરવા પ્રેમીએ જ આપ્યો હતો મહિલાને આઈડિયા
મૈસુરૂ,તા.૨૧: એક ખૂબ જ ભયાનક કહી શકાય તેવી ઘટનામાં પતિને ઘેનની દવા આપી તેનું ગુપ્તાંગ દબાવીને મોતને ઘાટ ઉતારનારી પત્નીની તેના પ્રેમી સાથે ધરપકડ કરવામાં આવી છે. મહિલાએ નવ મહિના પહેલા પોતાના પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો. મૃતકના પીએમમાં ખુલાસો થયો હતો કે તેનું મોત વૃષણ પર દબાણ આવવાને કારણે થયેલી ઈજાથી થયું છે.
કર્ણાટકના મૈસુરુની આ ઘટનામાં વેરહાઉસ કોર્પોરેશનમાં ગ્રુપ ડી એમ્પ્લોઈ તરીકે કામ કરતા એચ.ટી. વેંકટરાજુની હત્યા ૯ ઓકટોબર ૨૦૨૦ના રોજ તેની પત્ની ઉમા દ્વારા કરવામાં આવી હતી. આ અંગે માહિતી આપતા જિલ્લા એસપી ચેતન આર દ્વારા જણાવાયું હતું કે, ઉમા ઉંમરમાં વેંકટરાજુથી ૨૦ વર્ષ નાની હતી. તેમના લગ્નને ૧૦ વર્ષ થયા હતા. તેમને ૮ વર્ષની દીકરી અને ૬ વર્ષનો દીકરો છે. જોકે, ઉમાને પોતાનો પતિ પસંદ નહોતો અને તે પોતાના માતાપિતાના ઘરની પાસે રહેતા એક યુવકના પ્રેમમાં હતી.
ઉમા છેલ્લા ચાર વર્ષથી પિયરમાં જ રહેતી હતી. જોકે, ૯ ઓકટોબર ૨૦૨૦ના રોજ તેણે વેંકટરાજુને પોતાની દાદીના ઘરે બોલાવ્યો હતો. ત્યાં ઉમાએ પતિને કોફીમાં ઉંઘની ગોળીઓ નાખીને તેને બેહોશ કરી નાખ્યો હતો. વેંકટરાજુ એકદમ બેહોશ થઈ ચૂકયો છે તે વાતની ખાતરી થતાં ઉમાએ પોતાના પ્રેમી અવિનાશે જણાવ્યું હતું તે અનુસાર તેનું ગુપ્તાંગ જોરથી દબાવીને મસળી દીધું હતું.
પતિનું ગુપ્તાંગ મસળી દીધા બાદ ઉમાએ ઓશિકા વડે તેનું મોઢું પણ દબાવી દીધું હતું, અને તે ખરેખર મોતને ભેટ્યો છે કે કેમ તે સુનિશ્યિત કર્યું હતું. ઉમાએ વેંકટરાજુની હત્યા એવી રીતે કરી હતી કે શરીર પર કયાંય કોઈપણ પ્રકારની ઈજાના ઘા ના દેખાય. વેંકટરાજુના મોત બાદ ઉમાએ એવી સ્ટોરી ઉભી કરી હતી કે તે મળવા આવ્યો ત્યારે કોફી પીધા બાદ અચાનક જ ચક્કર ખાઈને પડી ગયો, અને પછી ઉભો જ ના થયો.
ઉમા છેલ્લા ઘણા સમયથી પિયરમાં રહેતી હોવાથી તેમજ વેંકટરાજુ તેને પસંદ ના હોવાથી ઉમાનો આ દાવો મૃતકના પરિવારજનોને શંકાસ્પદ લાગ્યો હતો. આખરે વેંકટરાજુના ભાઈએ તેનું મોત અકુદરતી રીતે થયું હોવાનો દાવો કરી ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે પોલીસે મૃતકનું પીએમ કરાવ્યું હતું. મૃતકના વિસેરા રિપોર્ટ પણ ટેસ્ટિંગ માટે મોકલાયા હતા, જેનો તાજેતરમાં જ રિપોર્ટ આવતા તેમની ઈજાનું કારણ કુદરતી નહીં પરંતુ ગુપ્તાંગમાં થયેલી ઈજા હોવાનું ખૂલ્યું હતું.
વેંકટરાજુનું મૃત્યુ અકુદરતી હોવાનું ખૂલતા તેના પરિવારજનોએ ઉમા પર શંકા વ્યકત કરી હતી. વળી, ઉમાએ જે સંજોગોમાં પતિને બોલાવ્યો હતો તે પણ શંકાસ્પદ લાગતા પોલીસે આખરે તેની ધરપકડ કરીને આકરી પૂછપરછ કરી હતી. જેમાં ઉમા ભાંગી પડી હતી, અને તેણે જણાવ્યું હતું કે પતિ ના ગમતો હોવાથી તેણે પ્રેમી સાથે મળીને તેનું મર્ડર કરવાનો પ્લાન કર્યો હતો. જેના માટે તેના પ્રેમીએ પણ તેને મદદ કરી હતી. આ કેસમાં પોલીસે ઉમા અને તેના પ્રેમીની ધરપકડ કરી બંનેને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.