કર્ણાટકમાં યેદુરપ્પાને બદલવાની ભાજપ હાઈકમાન્ડની હિલચાલ સામે આખો લિંગાયત સમુદાય આક્રમક મૂડમાં
લિંગાયત સમાજના ધર્મગુરૂઓની સાથે સાથે કોંગ્રેસના નેતા પણ યેદુરપ્પાની પડખે: યેદુરપ્પાને બદલાશે તો પરિણામ ભોગવવાં પડશે.: ઇતિહાસને યાદ અપાવીને ભાજપ યેદુરપ્પાને ખસેડીને વિનાશ નોંતરશે તેવી ચીમકી
કર્ણાટકમાં યેદુરપ્પાને બદલવાની ભાજપ હાઈકમાન્ડની હિલચાલ સામે આખો લિંગાયત સમુદાય મેદાનમાં આવતાં ભાજપમા ચિંતાનો માહોલ છે. લિંગાયત સમાજના ધર્મગુરૂઓની સાથે સાથે કોંગ્રેસના નેતા પણ યેદુરપ્પાને પડખે ઉભા રહી ગયા છે. તેમણે ચીમકી આપી છે કે, યેદુરપ્પાને બદલાશે તો ભાજપે માઠાં પરિણામ ભોગવવાં પડશે.
યેદુરપ્પાની લિંગાયત જ્ઞાાતિનું પ્રતિનિધિત્વ કરતી ઓલ ઈન્ડિયા વીરશૈવ મહાસભાના પ્રમુખ અને કોંગ્રેસ નેતા શમાનુર શિવશંકરપ્પાએ કહ્યું કે, ભાજપે ઈતિહાસ યાદ રાખવો જોઈએ. નિજલિંગપ્પા, વીરેન્દ્ર પાટિલ, જે.એચ.પટેલ, એસ.આર. બોમ્માઈ સહિતના મુખ્યમંત્રીઓને બદલનારા પક્ષ પતી ગયા. ભાજપ પણ યેદુરપ્પાને ખસેડીને વિનાશ નોંતરશે
કોંગ્રેસના બીજા નેતા અને ભૂતપૂર્વ મંત્રી એમ.બી. પાટિલે પણ યેદુરપ્પા સાથે ખરાબ વ્યવહાર થશે તો માઠાં પરિણામની ચીમકી આપી છે. કર્ણાટકમાં લિંગાયત સમુદાયના ૧૬ ટકા મત છે. ભાજપ તેના જોરે મજબૂત બન્યો છે. ભાજપ યેદુરપ્પાને બદલીને બીજા લિંગાયત નેતાને આગળ કરવાની વ્યૂહરચના વિચારી રહ્યો છે પણ તકલીફ એ છે કે, ભાજપ પાસે બીજો મજબૂત લિંગાયત નેતા નથી.