કેરળમાં શનિ-રવિ આખા રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત : દરરોજ ત્રણ લાખ સેમ્પલ તપાસના આદેશ
સુપ્રિમકોર્ટની ફટકાર બાદ મુખ્યમંત્રીએ કહ્યું રાજ્યમાં પ્રતિબંધમાં કોઇ રીતની છૂટ આપવામાં નહી આવે : પીએમ મોદીએ પણ રાજ્યમાં વધતા કેસથી ચિંતા વ્યક્ત કરી હતી
નવી દિલ્હી : કોરોના સંક્રમણના વધતા કેસને જોતા કેરળ સરકારે આખા રાજ્યમાં બે દિવસ સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી છે. 23 અને 24 જુલાઇએ આખા રાજ્યમાં કડક પ્રતિબંધ લાગુ રહેશે. આ સાથે જ પિનરાઇ વિજયન સરકારે રાજ્યના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને ટેસ્ટિંગ વધારવા કહ્યુ છે. દરરોજ 3 લાખ સેમ્પલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ઇદ પર ત્રણ દિવસ સુધી પ્રતિબંધમાં છૂટને લઇને સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ કેરળના મુખ્યમંત્રી પી વિજયને કહ્યુ હતું કે રાજ્યમાં પ્રતિબંધમાં કોઇ રીતની છૂટ આપવામાં નહી આવે. સાથે એમ પણ કહ્યુ હતું કે શુક્રવારે 3 લાખની તપાસ કરવામાં આવશે. કોરોના સમીક્ષા બેઠકમાં તેમણે કહ્યુ, પ્રતિબંધમાં અત્યારે છૂટ આપવામાં નહી આવે. વધુ એક અઠવાડિયા માટે પ્રતિબંધ ચાલુ રહેશે, તેમણે કહ્યુ કે ગત ત્રણ દિવસમાં એવરેજ પોઝિટિવિટી રેટ વધીને 10.8 ટકા થઇ ચુક્યો છે.
16 જુલાઇએ છ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા બાદ પીએમ મોદીએ કહ્યુ હતું કે કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસ ચિંતાનો વિષય છે. પીએમ મોદીએ ત્રીજી લહેરને રોકવા માટે સાવચેતી રૂપે કેટલાક પગલા ભરવા કહ્યુ હતું. પીએમે ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને રસીનો મંત્ર આપતા માઇક્રો કંટેનમેન્ટ ઝોન પર ફોકસ કરવા કહ્યુ હતું