મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

અભિનેત્રી કંગના રનૌતે બોમ્બે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા : ફિલ્મી ગીતકાર જાવેદ અખ્તરે કરેલી બદનક્ષીની ફરિયાદ રદ કરવા માંગણી કરી : ફિલ્મ અભિનેતા સુશાંત રાજપૂત અવસાન કેસમાં જાવેદ અખ્તરની સંડોવણી હોવાનું નિવેદન કર્યું હતું

મુંબઈ : અભિનેત્રી કંગના રનૌતે બોમ્બે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. તેણે ફિલ્મી ગીતકાર જાવેદ અખ્તરે કરેલી બદનક્ષીની ફરિયાદ રદ કરવા માંગણી કરી છે. તેણે ફિલ્મ અભિનેતા સુશાંત રાજપૂત અવસાન કેસમાં જાવેદ અખ્તરની સંડોવણી હોવાનું નિવેદન કર્યું હતું .

ફિલ્મી ગીતકાર જાવેદઅખ્તરે ફિલ્મ અભિનેતા સુશાંત રાજપૂત મૃત્યુ કેસમાં પોતાને સંડોવતુ નિવેદન કંગના રનૌતે રિપબ્લિક ટીવી સમક્ષ કરતા  તેના વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે.જેના અનુસંધાને ફેબ્રુઆરી 2021 માં અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે કંગનાને સમન્સ પાઠવ્યું હતું.

જેના અનુસંધાને કંગનાના એડવોકેટે હાઇકોર્ટ સમક્ષ કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે મેજિસ્ટ્રેટે પોલીસ ઈન્ક્વાયરીને ધ્યાનમાં રાખી સમન્સ પાઠવ્યું છે. જે કલમ 162 મુજબ પ્રતિબંધિત છે. જેનો ભંગ થવાથી આરોપીના મૂળભૂત અધિકારનો ભંગ થયો છે. હકીકતમાં આ મામલે પોતાની સ્વતંત્ર સત્તા દ્વારા ઈન્કવાયરી કરાવવી જોઈએ.આથી બદનક્ષીની ફરિયાદ રદ થવા પાત્ર છે.

ફરિયાદી અખ્તરે જણાવ્યું હતું કે પોતે છેલ્લા 55 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે.તથા પોતાની સ્વતંત્ર આબરૂ ઉભી કરી છે. પોતે 2010 થી 2016 ની સાલ દરમિયાન રાજ્યસભાના સભ્ય પણ રહી ચુક્યા છે.  પરંતુ કંગનાએ રાજપૂત અવસાન કેસમાં પોતાની ક્યાંય પ્રત્યક્ષ સંડોવણી ન હોવા છતાં પોતાને સંડોવ્યા છે.તેવી રજુઆત કરી હોવાનું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(8:27 pm IST)