સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચની કાર્યવાહીનું ૨૭ સપ્ટેમ્બરથી જીવંત પ્રસારણ
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ યુયુ લલિતે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટ ૨૭ સપ્ટેમ્બરથી પાંચ સભ્યોની બંધારણીય બેન્ચની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરશે. આજે બુધવારે સુપ્રીમ કોર્ટની બેઠકમાં તેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો છે અને શરૂઆતમાં લાઇવ ટેલિકાસ્ટ યુટ્યુબ દ્વારા થશે.
'શરૂઆતમાં બંધારણીય અને રાષ્ટ્રીય મહત્વના અમુક વિશેષ કેસોનું જ પ્રસારણ કરવામાં આવશે, જે કેસોમાં અંતિમ સુનાવણી થવાની છે. આ માટે સંબંધિત કોર્ટ પાસેથી લેખિત પરવાનગી લેવામાં આવશે.
આ જ બેઠકમાં ચાર જજોની ખાલી જગ્યા ઉપર પણ ચર્ચા કરવામાં આવી છે.
હાલમાં સુપ્રીમ કોર્ટમાં આર્થિક રીતે પછાત વર્ગો માટે અનામતની કાયદેસરતા સહિત અનેક મહત્વપૂર્ણ બંધારણીય કેસ ચાલી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ વિકાસ સિંહે કહ્યું છે કે આ પગલાથી લોકોનો કોર્ટમાં વિશ્વાસ વધશે. તેમણે કહ્યું, "આ એક સારું પગલું છે. આનાથી ન્યાયતંત્ર અને ખાસ કરીને સુપ્રીમ કોર્ટમાં જનતાનો વિશ્વાસ વધશે."
ભારતના પ્રખ્યાત બંધારણીય નિષ્ણાત અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કામિની જયસ્વાલે પણ તેને સારું પગલું ગણાવ્યું છે. કામિની જયસ્વાલે કહ્યું, "આનાથી લોકોને કોર્ટરૂમની કાર્યવાહી વિશે વધુ માહિતી મળશે. તેનાથી કાયદાકીય સંશોધનમાં પણ ફાયદો થશે. તેનાથી વકીલોને પણ ફાયદો થશે."