ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ સ્થિતિની સમીક્ષા માટે ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ હવાઇ નિરીક્ષણ કર્યુઃ રાજ્ય અને કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે મિટીંગ યોજાઇ
સમયસર ચેતવણી મળવાના કારણે ઘણી ઓછી માત્રામાં નુકસાન થયુઃ અમિતભાઇ શાહ
દહેરાદૂન: ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ બાદ ઉભી થયેલી સ્થિતિની સમીક્ષા કરવા માટે ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાખંડ પહોચ્યા હતા. અમિત શાહ અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હવાઇ સર્વેક્ષણ કરી રાજ્યમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી થયેલા નુકસાનનું નીરિક્ષણ કર્યુ હતુ. મળતી જાણકારી અનુસાર અમિત શાહ સવારે 9.45 વાગ્યાથી લઇને બપોરે 12.30 વાગ્યા સુધી આફતગ્રસ્ત ગઢવાલ અને કુમાઉં જેવા વિસ્તારનું હવાઇ સર્વેક્ષણ કર્યુ હતુ.
હવાઇ સર્વેક્ષણ ખતમ કર્યા બાદ દહેરાદૂનમાં ગૃહમંત્રી અમિત શાહે મીડિયાને સંબોધિત પણ કર્યુ હતુ. આ પ્રસંગે અમિત શાહે કહ્યુ કે અહીના રાજ્યપાલ, મુખ્યમંત્રી અને ભારત રાજ્ય સરકારના અધિકારીઓ સાથે દેવભૂમિમાં આવેલી આફતનું હવાઇ નીરિક્ષણ કર્યુ. અહી થયેલા વિનાશની તસવીરો જોવા મળી. રાજ્ય અને કેન્દ્ર સરકારના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ સાથે પણ બેસવાનું થયુ.
અમિત શાહે આગળ કહ્યુ કે ભારત સરકાર તરફથી સમય પર ચેતવણી મળવાને કારણે ઘણી ઓછી માત્રામાં નુકસાન થયુ છે, ઓછામાં ઓછા જીવની હાની ઘણી ઓછી માત્રામાં થઇ છે. અત્યાર સુધી સરકાર પાસે 64 મોત રજિસ્ટર થયા છે અને 11થી વધુ લોકો ગાયબ છે.
દહેરાદૂનમાં મીડિયાને સંબોધિત કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે વિજળીની ઉપલબ્ધતા 60%થી વધુ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારે રેસક્યૂ ઓપરેશન ઘણુ સારી રીતે ચલાવ્યુ છે. 80% જગ્યા પર ટેલિફોન નેટવર્કને રિસ્ટોર કરી દેવામાં આવ્યુ છે. 3500થી વધુ લોકોનું રેસક્યૂ કરવામાં આવ્યુ છે.