૫.૬૨ લાખ ભારતીય ફેસબુક ધારકોના વ્યકિતગત ડેટાની ચોરી માટે સીબીઆઇ દ્વારા બ્રિટન સ્થિત પોલિટિકલ કન્સલ્ટિંગ કંપની કેમ્બ્રિજ ઍનાલિટિકા વિરૂદ્ધ કેસ દાખલ
નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ 5.62 લાખ ભારતીય ફેસબુક ઉપયોગકર્તાઓના વ્યક્તિગત ડેટાની ચોરી માટે બ્રિટન સ્થિત પૉલિટિકલ કંસલ્ટિંગ કંપની કૈંબ્રિજ એનાલિટિકા વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. એજન્સીએ આ મામલે તે દેશની બહારની એક અન્ય કંપની ગ્લોબલ સાયન્સ રિસર્ચ (GSRL)નું પણ નામ FIRમાં સામેલ કર્યુ છે.
કેન્દ્રીય ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી ટેકનોલોજી પ્રધાન રવિશંકર પ્રસાદે સંસદને પહેલા જણાવ્યુ હતું કે ફેસબુક-કૈંબ્રિજ એનાલિટિકા ડેટા ચોરી મામલે CBI તપાસ થશે. બીજી તરફ CBIને મોકલેલા પોતાના જવાબમાં સોશિયલ મીડિયા કંપનીએ કહ્યુ હતું કે GSRLએ ભારતમાં ગેરકાયદેસર રીતે લગભગ 5.62 લાખ યૂઝર્સના પર્સનલ ડેટા ભેગા કર્યા અને તેને કૈમ્બ્રિજ એનાલિટિકા સાથે શેર કર્યા હતા. આરોપ છે કે કંસલ્ટિંગ ફર્મે ત્યારે ડેટાનો ઉપયોગ ભારતમાં ચૂંટણીને પ્રભાવિત કરવા માટે કર્યો હતો.
માર્ચ 2018માં, કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા પ્લેટફૉર્મ્સે કૈમ્બ્રિજ એનાલિટિકાના પૂર્વ કર્મચારીઓ, સહયોગીઓ અને દસ્તાવેજોનો હવાલો આપતા જણાવ્યુ કે ફર્મે તેમની પરવાનગી વગર 50 મિલિયનથી વધુ ઉપયોગકર્તાઓના ફેસબુક પ્રોફાઇલમાંથી ખાનગી જાણકારી ચોરી હતી. તે બાદ CBIએ આરોપો પર કૈમ્બ્રિંજ એનાલિટિકા અને જીએસઆરએલ વિરૂદ્ધ પ્રાથમિક તપાસ શરૂ કરી છે.