કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી એકે વાલિયાનું નિધન
કોરોના સામે લડી રહ્યા હતા લડાઈ
નવી દિલ્હી, તા.૨૨: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી અશોક કુમાર વાલિયા કોરોનાની ઝપેટમાં આવ્યા હતા અને દિલ્હીની અપોલો હોસ્પિટલમાં ૭૨ વર્ષની ઉંમરે રાતે ૧.૩૦ વાગે તેમનું નિધન થયું છે.
દિલ્હીમાં કોરોનાથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. આ સમયે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી અશોક કુમાર વાલિયા પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. ૭૨ વર્ષની વયે એકે વાલિયાનું દિલ્હીની અપોલો હોસ્પિટલમાં મોડી રાતે ૧.૩૦ મિનિટે નિધન થયું છે. તેઓ છેલ્લા ૩ દિવસથી કોરોના સામે લડાઈ લડી રહ્યા હતા.
દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અનિલ કુમારે ટ્વિટ કરીને કહ્યું છે કે અપાર દુઃખ સાથે સૂચિત કરી રહ્યા છીએ કે અમારા દિલ્હી કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી એકે વાલિયાનું આજે ૨૨ એપ્રિલે કોરોનાની બીમારીના કારણે અપોલો હોસ્પિટલમાં નિધન થયું છે.
દિલ્હીમાં બુધવારે કોરોના સંક્રમણના કારણે ૨૪૬૩૮ નવા કેસ આવ્યા છે અને સંક્રમિતની સંખ્યા વધીને ૯૩૦૧૭૯ થઈ છે. ૨૪૯ દર્દીના મોત થયા બાદ કોરોના મહામારીથી મોતની સંખ્યા પણ વધી છે. હાલમાં દિલ્હીમાં સંક્રમણનો દર ૩૧.૨૮ ટકા છે.