વિવિધ રાજ્યોમાં લીધેલા નિયંત્રણોને પરિણામો
પરિવહન ઉદ્યોગને રોજનું ૧૦૦૦ કરોડનું નુકસાન
૨૦,૦૦૦થી વધુ લોકોની રોજી-રોટી ઉપર સંકટ : ૫૦ % ઘટી વાહનોની ડીમાન્ડ
મુંબઇ,તા. ૨૨: કોરોનાની બીજી લહેર પણ કાબૂ મેળવવા રાજ્યોમાં લગાવાયેલા પ્રતિબંધોના કારણે ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગને રોજના લગભગ ૧૦૦૦ કરોડનું નુકસાન થઇ રહ્યુ છે. ટ્રાન્સપોર્ટરોના સંગઠન ઓલ ઇન્ડીયા ટ્રાન્સપોર્ટ કોંગેસ (એઆઇએમટીસી)એ ગઇ કાલે કહ્યુ કે પરિસ્થિતી પર નિયંત્રણ નહીં આવે અને સરકાર તરફથી કોઇ મદદ નહીં મળે તો આ નુકસાન હજુ પણ વધશે. સાથે જ તેની સાથે સંકળાયેલા ૨૦ કરોડથી વધારે લોકોની રોજીરોટી પર સંકટ ઉભુ થશે.
સંગઠને કહ્યુ કે મહારાષ્ટ્રમાં ૧૨ એપ્રિલથી પ્રતિબંધો લગાવાયા હતા. ત્યારથી ટ્રાન્સ્પોર્ટરોને રોજના લગભગ ૩૧૫ કરોડ રૂપિયાનો ધૂબો લાગી રહ્યો હતો. હવે દિલ્હી, પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટક અને અન્ય રાજયોમાં પણ સખ્તાઇ વધારી દેવાઇ વાહનોની માંગ લગભગ ૫૦ ટકા જેટલી ઘટી ગઇ છે. એટલે તાજા અંદાજ અનુસાર, સખ્તાઇ અને તેની મુદત વધી જવાના કારણે ઉદ્યોગને રોજનું લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહ્યુ છે. એઆઇએમટીસીએ કહ્યુ કે ઉદ્યોગને આ નાણાકીય સંકટમાંથી ઉગારવા સરકારે ઇએમઆઇ અને ટેક્ષ પેમેન્ટ પર રાહત આપવા જેવા પગલા લેવા જોઇએ. સાથે જ ઇ-વે બીલની માન્યતા વધારવા પર પણ વિચાર કરવો જોઇએ.