મુખ્ય સમાચાર
News of Thursday, 22nd April 2021

ગૌમાતાને પંપાળો, તંદુરસ્ત રહો : સંશોધન

ગાય - શ્વાન સહિતના પાલતુ પશુની કાળજી લેવાથી, પ્રેમ આપવાથી જીવન સુખી-સ્વસ્થ બને : ગાયના શરીરનું તાપમાન ૧૦૧ ડીગ્રી ફેરનહીટ હોય છે અને હૃદયના ધબકારાની ગતિ ઓછી હોય છે : ગાય સાથે રહેવાથી તનાવ ઘટે, સકારાત્મકતા વધે, હોર્મોન્સ છૂટા પડે છે

અમેરિકન મીડિયામાં એક સમાચાર પ્રસિદ્ઘ થયા. એ મુજબ ન શ્વાનો, ન બિલાડીઓ કે નહીં અશ્વો, પણ ગાયો - એટલે કે ગૌમાતા - ત્યાંના ન્યુ યોર્ક સ્થિત નેપલ્સમાં આવેલા માઉન્ટેન હોર્સ ફાર્મમાં સૌને આગવો 'કાઉ કડલિંગ' એટલે કે અબોલ જીવોને લાડ લડાવવાનો અનુભવ કરાવે છે. માનવીઓને શાતા પહોંચાડવાનો મુદ્દો હોય ત્યાં આ ક્ષણ ગાયોની છે. એક નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે પ્રકૃતિ સાથે ફરી તાદાત્મ્ય સાધવું, પશુઓ સાથે પણ સંકળાવું, પોતાના માટે થોડો સમય ફાળવવો એ છે જીવન વિશે યોગ્ય વિચારણા કરવી કે પછી જીવનમાં શું કરવું છે તે સારી રીતે જાણવું. ગાયો માત્ર ચારો ચરતા પશુથી કયાંય વધુ ચંચળ અને સમજદાર અબોલ જીવ છે, જે મીઠી રમતમાં પણ જોડાય છે, લાગણીઓ દર્શાવે છે અને આગવું વ્યકિતત્વ પણ ધરાવે છે.

માનવીની તુલનામાં ગાયોના શરીરનું તાપમાન વધુ હોય છે - આશરે ૧૦૧ ડિગ્રી ફેરનહીટ - અને તેમના હૃદયના ધબકારાની ગતિ ઓછી હોય છે. આ બંને ગુણો માનવીને હળવાફૂલ કરવામાં ઉપયોગી થાય છે એવું નિષ્ણાતોનું કહેવું છે. જયારે ભોજન પચાવવાનું હોય ત્યારે ગાયોને કશેક બેસી જવું ગમતું હોય છે, જે માનવીને તેમની બાજુમાં બેસીને ગાયોને પસરાવવાની તક આપે છે. આની જોડ કોઈ પરંપરાગત થેરાપીમાં નહીં મળે અને આ પ્રક્રિયા એ માટે બની પણ નથી. પણ અસંખ્ય લોકો પ્રકૃતિ સાથેનો નાતો ગુમાવી ચૂકયા છે અને એને ફરી જીવંત કરવાની આવશ્યકતા છે. ગાય બહુ સંવેદનશીલ હોય છે. એ ખૂબ બુદ્ઘિવાન પણ હોઈ શકે છે. ઘણાં નિરીક્ષણો પ્રમાણે આપણી પાસે જે પશુઓ છે તેમાં ગાય સૌથી વધુ પાળવાયોગ્ય પશુ છે.

ગાયોને પંપાળવાની પ્રવૃત્તિ એક નવી મનગમતી પ્રવૃત્તિ તરીકે ઉભરી છે, જેમાં અમેરિકનો ફાર્મનાં પશુઓ સાથે એક કલાક વિતાવવા માટે ૭૫ ડોલર ચૂકવી રહ્યા છે. દેશભરમાં પશુઓનાં અભ્યારણો આ સેવા પૂરી પાડી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સિંગના એક વર્ષ પછી, એકલા પડી ગયેલા માનવીઓમાં એની ખૂબ મોટી ડિમાન્ડ છે. આ લોકો પશુઓ પાસેથી થાતાં મેળવવા ઝંખતા એમની પાસે પહોંચી જાય છે. 'તમે તમારા મિત્રને આલિંગન આપી શકતા નથી. તમે તમારાં પૌત્ર-પૌત્રીઓને આલિંગન આપી શકતા નથી. આવા સમયમાં આપણે હજી કાળજી રાખવી જરૂરી છે,' સુઝાન વિલર્સ જે ન્યુ યોર્કના મેપલ્સમાં માઉન્ટન હોર્સ ફાર્મ ધરાવે છે, તેણે વોશિંગ્ટન પોસ્ટને પશુઓને પંપાળવાની આ પ્રવૃત્તિ વાત કરતા જણાવ્યું.

પણ માનવી તરીકે આપણા માટે કોઈકની નિકટતા જરૂરી છે. ગાયો સુરક્ષિત છે... અને તેમને પણ આવો સહવાસ ગમે છે. વિલર્સ મૂળે નેધરલેન્ડ્સની છે જયાં આ પ્રવૃત્તિ પહેલેથી પ્રચલિત છે અને 'કોએ કનૂફેલન' તરીકે ઓળખાય છે. એ અને તેનો પતિ દર વર્ષે મે અને ઓકટોબરમાં ગાયોને પંપાળવાની આ સેવા પૂરી પાડે છે. મુલાકાતીઓ બેલા અને મોની સાથે દર અઠવાડિયએ વિવિધ દિવસે એક કલાક પસાર કરે છે જે અર્ધ સ્કોટિશ હાઇલેન્ડ અને અર્ધ એન્ગસ પ્રજાતિની છે.

આ ટ્રેન્ડના હિમાયતીઓના જણાવ્યા મુજબ ગાયોને પંપાળવાની પ્રવૃત્તિ તેમના તાપમાન અને કદને કારણે ખૂબ શાતા પહોંચાડનારી બને છે અને એને લીધે ઓકિસટોસિન દૂર થવાની જે પ્રવૃત્તિ થાય છે તેના લીધે પણ તાણ ઘટે છે. ગાયોને પંપાળવી, તેના અંગ પર આપણું અંગ ઘસવું અથવા તેના પર ઝૂકવું એ બધું ખૂબ શાતાભર્યું છે, કારણ કે ગાય મોટી અને હૂંફાળી હોય છે અને તેના તેના હૃદયના ધબકારા ધીમા હોય છે. માનવીના શરીરમાંથી ઓકિસટોસિન દૂર કરનારી ગાયોને પંપાળવાની પ્રવૃત્તિ સકારાત્મકતા વધારે અને તાણ ઘટાડે છે. આવા સામાજિક મેળાપથી હોર્મોન્સ પણ છુટાં પડે છે. પાલતું પશુઓ સાથે આ રીતે મેળાપ કરવો અને વહાલ કરવું એ ત્યારે વધુ લાભકારી થાય છે જયારે પાલતું પશુનું શરીર મોટું હોય, એવું બીબીસીનો અહેવાલ જણાવે છે.

સંશોધકો અભ્યાસ કરી રહ્યા છે કે જયારે તાલીમ પામેલાં પશુઓને ઔષધીય માળખા ધરાવતા સ્થળે, જેમ કે હોસ્પિટલ કે નર્સિંગ હોમમાં, લાવવામાં આવે, ત્યારે શું થાય છે. આવાં સ્થળોએ લોકોને પશુઓ સાથે સમય પસાર કરવા દેવામાં સૌથી મોટો લાભ એ થાય છે કે લોકોનો મૂડ સુધરે છે અને ઉત્તેજના ઘટે છે. થેરાપી શ્વાનોની મુલાકાતથી એ લોકોને વિશેષ લાભ થાય છે જેઓ ગંભીર માંદગીમાંથી કે પછી કોઇક સ્ટ્રોક પછી સાજા થતા હોય. અમુક શ્વાનો વિશેષ તાલીમ પામેલાં હોય છે. તેઓ એફેસિયા (મોટી ઉંમરના દરદીઓને થતી બીમારી જેમાં તેઓ ભાષા સમજવામાં મુશ્કેલી અનુભવે, ખાસ કરીને જેમને સ્ટ્રોક આવ્યો હોય) ધરાવતા દરદીઓને,જેઓ તેમની વાત સમજી શકનારાં શ્વાનોને જોઈને સારું અનુભવે છે. આવા એક શ્વાનને પંપાળવાથી આવા દરદીઓની શકિતમાં વૃદ્ઘિ થાય છે અને એનાથી સ્ટ્રોક કે અન્ય બીમારીમાંથી ઝડપભેર સાજા થવામાં તેમને મદદ મળે છે. આવું કરવાથી તેમને શાંતિનો અનુભવ પણ થાય છે. સંશોધનોથી જાણવા મળ્યું છે કે શ્વાનો સાથે થોડી ક્ષણોનો વ્યવહાર પણ માનવીના મગજમાં ઓકિસટોસિન પેદા થાય છે, આ એ હોર્મોન છે જેને ઘણીવાર 'કડલ કેમિકલ' પણ કહેવાય છે. ઓકિસટોસિન વધે છે. જેઓ પાલતું પશુ ધરાવે છે તેનું બ્લડ પ્રેશર ઓછું રહેવાનું જણાયું છે, અને હૃદયના ધબકારાની ગતિ તથા હૃદયરોગનું જોખમ પણ જેઓ પાલતું પશુ ધરાવતા નથી તેમના કરતા ઓછું રહે છે. ૭૧ ટકાથી વધુ અમેરિકન ઘર (૬૨%) પાલતું પશુ ધરાવે છે, અને એમાંના મોટા ભાગના લોકો એવું માને છે કે પાલતું પશુઓ તેમના પરિવારનો અંતરંગ હિસ્સો છે. અમુક સંશોધનપૂર્ણ અભ્યાસોમાં જાણવા મળ્યા મુજબ જેઓ પાલતું પશુ ધરાવે છે તેમના હૃદય વધુ તંદુરસ્ત હોય છે, ઘરે વધુ રહે છે અને માંદા ઓછા પડે છે, ડોકટર પાસે પણ તેમણે ઓછું જવું પડે છે, વધુ વ્યાયામ મેળવે છે અને ઓછો તાણ અનુભવે છે. એલર્જી, એસ્થમા, સામાજિક સાથ અને અન્ય માનવીઓ સાથેના સામાજિક વ્યવહારમાં પણ પાલતું પશુઓનો પ્રભાવ પડે છે. આવા અન્ય એક અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે તમે જયારે તાણમાં હોવ ત્યારે, તમારી રૂમમાં શ્વાન હોવાથી બ્લડ પ્રેશર ઓછું રહે છે, જે બ્લડ પ્રેશરની દવાઓ (એસ ઇન્હિબિટર) કરતાં બહેતર છે.

ગૌવંશ શ્રેષ્ઠ છે. ગાયોને પંપાળવી એવા લોકો માટે એક મનગમતી સમય પસાર કરવાની પ્રવૃત્તિ બની રહી છે જેઓ મહામારીમાં એક વર્ષ એકાંતમાં વિતાવી વિતાવ્યા પછી ઉષ્માભર્યા આલિંગનને તલસી રહ્યા છે. મહામારીમાં એક વર્ષ એકાંતવાસમાં વિતાવ્યા પછી ગાયોને પંપાળવાની પ્રવૃત્તિ વેગ પકડી રહી છે. લોકો ફાર્મ તરફ જઈ રહ્યા છે અને કલાકના ૭૫ ડોલર પ્રમાણે ગાયો સાથે કલાકો વિતાવી રહ્યા છે. ભાગ લેનારા લોકો ગાયોને આલિંગન આપે છે, તેમને પંપાળે છે, જે પ્રવૃત્તિ તાણ ઓછી કરવા માટે અને શરીરમાંથી ઓકિસટોસિન દૂર કરવા માટે જાણીતી છે. ગાયોને પંપાળવાની પ્રવૃત્ત્િ। ખૂબ શાતા પહોંચાડનારી એટલે કહેવાય છે કેમ કે ગાયો મોટી હોય છે અને તેમના હૃદયના ધબકારાની ગતિ ઓછી હોય છે. ન્યુ યોર્ક, એરિઝોના અને હવાઈમાં એવા ઘણાં ફાર્મ છે જયાં લોકોએ મહિનાઓ અગાઉથી બુકિંગ કરાવ્યાં છે.

હજી ગયા વર્ષે જ મેડિકલ ન્યુઝ ટુડેએ એક અભ્યાસપૂર્ણ અહેવાલમાં જણાવ્યું હતું કે એક શ્વાન કે ગાયો પાળવાથી માનવીના અણધાર્યા મૃત્યુ થવાનું જોખમ એક તૃતીયાંશ ઘટી જાય છે. વધુમાં, મેસેશ્યુશેટ્સ સ્થિત યુનિવર્સિટી ઓફ હાર્વર્ડના સંશોધકોના જણાવ્યા પ્રમાણે શ્વાનની માલિકી ધરાવતા લોકોમાં હૃદયરોગ થવાનું જોખમ ઓછું હોય છે. જયારે આપણે શ્વાન સાથે વ્યવહાર કરીએ છીએ ત્યારે ઓકિસટોસિનનું સ્તર ઊંચે જાય છે. સામાજિક મેળાપમાં આ હોર્મોન મુખ્યત્વે કારણભૂત હોય છે અને આ હોર્મોનનું 'લવ ઇન્જેકશન' માનસિક તંદુરસ્તીમાં વધારો કરે છે. જેઓ પાલતું પશુઓ ધરાવે છે તેઓ કોલેસ્ટ્રોલ અને ટ્રિગ્સીસેરાઇડ્સનું વધુ સારૂ સ્તર ધરાવે છે. આ માટેનું કારણ સ્પષ્ટ નથી. એક કારણ એ હોઈ શકે કે પશુઓ પાળવાથી જે વધુ પ્રવૃત્ત જીવનશૈલી મળે છે તે ઉપયોગી થાય છે. તમારા પાલતું પશુથી વધુ કોઈ તમને બિનશરતી પ્રેમ આપતું નથી. પાલતુ પશુઓ તમને નિરાશામાંથી જલદી બહાર આવવામાં પણ મદદરૂપ થાય છે. તમે જેટલી વાતો કરવી હોય તેટલી તમારા પાલતું પશુ સાથે કરી શકો છો.

ગિરીશ જયંતીલાલ શાહ

મેનેજીંગ ટ્રસ્ટી સમસ્ત મહાજન અને સભ્ય, એડબલ્યુબીઆઇ, ભારત સરકાર

મો. ૯૮૨૦૦ ૨૦૯૭૬

(11:44 am IST)