પેટ્રોલ-ડીઝલના મોટા ઘટાડા બાદ પીએમ મોદીએ કર્યું ટ્વિટ:કહ્યું- અમારે માટે તો લોકો જ પહેલા છે
પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડા બાદ પીએમ મોદીનું પહેલું ટ્વિટ
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડા બાદ પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને આ નિર્ણયને વધાવ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે અમારે માટે તો લોકો જ હંમેશા પહેલા રહ્યાં છે. આજનો નિર્ણય ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલ પરના મહત્વનો ઘટાડો વિવિધ સેક્ટર પર પોઝિટીવ અસર પાડશે, આપણા લોકોને રાહત આપશે અને જીવનધોરણ વધારે સરળ બનાવશે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેન્દ્ર સરકારે જનતાને મોટી રાહત આપી છે. નાણા મંત્રી નિર્મલા સીતારામણે એવી જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકાર પેટ્રોલ પર 8 રુપિયા અને ડીઝલ પર 6 રુપિયા એક્સાઈઝ ડ્યુટી ઘટાડી રહી છે. આને કારણે પેટ્રોલમાં ભાવમાં 9.5 રુપિયા અને ડીઝલમાં 7 રુપિયાનો ઘટાટો આવશે.
કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાના 9 કરોડ લાભાર્થીઓને 200 રુપિયા પ્રતિ ગેસ સિલિન્ડર (12 સિલિન્ડર સુધી) ની સબસિડી આપવાની પણ જાહેરાત કરી છે. નાણા મંત્રીએ કહ્યું કે તેનાથી આપણી માતાઓ અને બહેનોને મદદ મળશે.