બસ વિસ્ફોટમાં ચીનના 9 ઇજનેરોને મોતથી ડ્રેગન લાલઘૂમ : પાકિસ્તાનમાં ચાલતા અનેક મોટા પ્રોજેક્ટ પર કામ બંધ કર્યું
ખૈબર પખ્તુન્ખ્વામાં એક બસમાં થયેલા વિષ્ફોટમાં ચીનનાં 9 એન્જિનિયરોનાં મોત થતાં પાકને મોટો ફટકો પડ્યો
નવી દિલ્હી :પાકિસ્તાનમાં આવેલા ખૈબર પખ્તુન્ખ્વામાં બસમાં થયેલા વિષ્ફોટમાં ચીનનાં 9 એન્જિનિયરોનાં મોત થતાં પાકને મોટો ફટકો પડ્યો છે. આ ઘટના બાદ ચીને હવે અનેક મોટા પ્રોજેક્ટ પર કામ બંધ કરી દીધું છે, ચીને વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટ પર કામ અંગે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠક પણ સ્થગિત કરી દીધી છે. ઉપરાંત અબજો ડોલરનાં ખર્ચે તૈયાર થઇ રહેલો હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પણ બંધ કરવામાં આવ્યો છે.
આ દરમિયાન ચીનનાં 15 સભ્યોની તપાસ ટીમે વિષ્ફોટની ઘટનાની રિપોર્ટ મોકલી છે, આ ઘટના બાદ પોતાની તાત્કાલિક પ્રતિક્રિયા આપતા ચીને જોઇન્ટ કો-ઓર્ડિનેશન કમિટિની 10મી બેઠકને સ્થગિત કરી દીધી છે, આ સમિતિ જ 50 અબજ ડોલરનાં CPEC પ્રોજેક્ટ હેઠળ આવતા કામોનું નિરિક્ષણ કરે છે.
ચીન અને પાકિસ્તાનનાં સંબંધોથી માહિતગાર નિષ્ણાતોનું કહેવું છે, કે આ ઘટનાથી ચીનનાં હિતોને મોટું નુકસાન થયું છે, તે ઉપરાંત અફઘાનિસ્તાનમાં વધી રહેલું સંકટ પણ ચિંતાનું કારણ છે.