મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd September 2021

ત્રિપુરાના કંનચપુરમાં આફ્રીકન સ્વાઈન ફલૂ ફેલાયોઃ ડુક્કરોને મારવા આદેશ

   નવી દિલ્હી, તા.૨૨: દેશના પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં હવે નવા પ્રકારનો સ્વાઈન ફ્લૂ તાવ ફેલાઈ રહ્યો છે. જેને આફ્રીકન સ્વાઈન ફ્લૂ વાયરસ કહેવામાં આવી રહ્યો છે. ભૂંડના ૮૭ નમૂનામાંથી ૩માં આફ્રીકન સ્વાઈન ફીવરના પોઝિટિવિટ કેસ મળ્યા છે. રોગ મળ્યાના સેન્ટરથી ૧ કિમીના દાયરામાં તમામ ભૂંડને મારી નાંખવાનો આદેશ અધિકારીઓને જારી કરવામાં આવ્યો છે.

પશુ સંસાધન વિકાસ વિભાગના નિર્દેશકના શશિ કુમારે કહ્યું કે રોગ કેન્દ્રથી ૧૦ કિલો મીટર રેડિયસના દાયરામાં ઓબ્જર્વેશન ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે ભૂંડોને મારવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. જ્યાં પોઝિટિવ મામલા મળ્યા છે. તે વિસ્તાર ત્રિપુરાના ઉત્તર જિલ્લાનો કંચનપુર સબ ડિવિઝન છે.

સરકારે આ વિસ્તારમાંથી કોઈ પણ જીવીત કે મૃત ભૂંડના માંસનું વેચાણ તથા તેને બહાર લઈ જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ગુવાહાટીના NERDDL લેબમાં ત્રિપુરાથી મોકલવામાં આવેલા ભૂંડના સેમ્પલમાં આફ્રીકન સ્વાઈન ફ્લૂ વાયરસની ખરાઈ થઈ હતી. આની પહેલા મિઝોરમમાં પણ આ ફ્લૂની ખરાઈ થઈ ચૂકી છે.

(3:18 pm IST)