વેપારીઓ પાસે પાછલા વર્ષની ક્રેડિટ ક્લેઇમ કરવા માટે હવે માત્ર ૮ દિવસ
૩૦ સપ્ટેમ્બર,૨૦૨૨ સુધી GSTR-૩બીના રિટર્નમાં વેપારીઓ ભૂલો સુધારી શકે : ઇ-વે બિલ સંબંધિત નવા ફિચર પોર્ટલ પર ઉપલબ્ધ : જીએસટી ડિપાર્ટમેન્ટના પોર્ટલ પર ઇ-વે બિલ સંબંધિત નવા ફિચર અપલોડ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી વેપારીઓ જીએસટી પોર્ટલ પર બનાવેલા ફકત પાંચ દિવસના ડેટા જોઇ શકતા હતા. જો કે હવે નવા ફિચર પ્રમાણે વેપારીઓ માઇ ઇ વે બિલ રિપોર્ટમાં મહિના પ્રમાણે આઉટ વર્ડ સમરી અને ઇન વર્ડ સમરી જોઇ શકશે. જેને વેપારીઓ એક્સલ શીટમાં ડાઉનલોડ કરી શકે છે
નવી દિલ્હી,તા. ૨૨ : નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન જીએસટી રિટર્નમાં જે આર્થિક વ્યવહારોની એન્ટ્રી રહી ગઇ હોય અથવા કોઇ ભૂલ થઇ હોય તે ભૂલને સુધારવા માટેનો વેપારીઓ પાસે સપ્ટેમ્બર મહિનામાં અંતિમ મોકો છે. વેપારીઓ ૩૦ સપ્ટેમ્બર,૨૦૨૨ સુધી જીએસટીઆર-૩બીમાં તેમની ભૂલો સુધારવા માટેની એન્ટ્રી કરી શકે છે.
આખા વર્ષ દરમિયાન કેટલીક વાર જીએસટી રિટર્નમાં વેપારીઓ એને સીએ દ્વારા ભૂલો થતી હોય છે. ખરીદ, વેચાણ કે ડેબિટ નોટ, ક્રેડિટ નોટની એન્ટ્રીઓ બાકી રહી જાય છે. આ તમામ ભૂલો સુધારવા માટે વેપારીઓને તક આપવામાં આવી છે. જે અંતર્ગત સપ્ટેમ્બર મહિનાના જીએસટીઆર-૩બીમાં વેપારીઓ તેમની ભૂલો સુધારી શકે છે. આ રિટર્ન ફાઇલ કરવા માટેની અંતિમ તારીખ ૩૦ સપ્ટેમ્બર છે. પાછલા નાણાકીય વર્ષમાં જે વેપારીઓની જીએસટી રિટર્ન ફાઇલમાં કોઇ એન્ટ્રી બાકી રહી હોય અથવા ભૂલો થઇ હોય તેમની પાસે સુધારણા માટે હવે ગણતરીના દિવસો જ રહ્યા છે. ૩૦ સપ્ટેમ્બર પછી તેઓ પાછલા નાણાકીય વર્ષ માટે કોઇ સુધાર કરી શકશે નહીં
ટેક્સ કન્સલ્ટન્ટ નારાયણ શર્માએ જણાવ્યુ હતુ કે પાછલા નાણાકીય વર્ષ દરમિયાન વેપારીઓએ કોઇ ક્રેડિટ કરવાની રહી ગઇ હોગ અથવા તો ખરીદ, વેચાણ સંબંધિત માહિતીઓ જીએસટી રિટર્નમાં બતાવી નહી હોય તેવી ભૂલો ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીમાં જીએસટીઆર-૩બીના રિટર્નમાં બતાવી શકે છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ની ભૂલો સુધારવા માટેનો અંતિમ તક છે.