સરકારની આવક ૭ લાખ કરોડ રૂપિયા ઓછી રહેવાની શકયતા
૨૬.૩૩ લાખ કરોડની બજેટની ધારણા સામે ૧૯.૩૩ લાખ કરોડ મળવાનુ અનુમાન
નવી દિલ્હી, તા. ૨૩ :. કરસંગ્રહ અને સરકારી સંસ્થાઓના વિનીવેશથી મળનારી આવક ચાલુ નાણાકીય વર્ષમાં બજેટની ધારણા કરતા ૭ લાખ કરોડ રૂપિયા ઓછી રહી શકે છે. બે સીનીયર અધિકારીઓએ આની પુષ્ટિ કરી છે. ૨૦૨૧ના બજેટમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ કરથી ૨૪.૩૩ લાખ કરોડ રૂપિયા વિનીવેશથી ૨.૧૦ લાખ કરોડ રૂપિયા આવવાનો અંદાજ હતો. આમ કુલ ૨૬.૩૩ લાખ કરોડ રૂપિયા આવવાની ધારણા કરાઈ હતી પણ સુધારેલા અંદાજ અનુસાર લગભગ ૧૯.૩૩ લાખ કરોડ રૂપિયા એટલે બજેટની ધારણાથી ૨૬.૫૮ ટકા ઓછી આવક થઈ શકે છે.
ઉપરોકત બે અધિકારીઓમાંથી એકે કહ્યું કે કર મોરચે કેન્દ્રનું આંતરિક અનુમાન દર્શાવે છે કે જો સરકાર કરસંગ્રહમાં કોવિડ પહેલાની એટલે કે જાન્યુઆરી-માર્ચ ૨૦૨૦ના સ્તરે પહોંચે તો પણ ૨૦૨૦-૨૧ માટે કુલ કરની આવકમાં બજેટ અનુમાનથી લગભગ પાંચ લાખ કરોડ રૂપિયા ઓછા આવી શકે છે.