વકિલોની અછતથી નીચલી અદાલતોમાં ૬૩ લાખ કેસ પેન્ડીંગ
દેશની અદાલતોમાં ન્યાયધીશોની જ અછત પ્રર્વતતી નથી : પેન્ડીંગ કેસમાં ૭૮ ટકા ફોજદારી અને બાકીના સિવિલ કેસ છે : દેશમાં સૌથી વધુ પેન્ડીંગ કેસ ઉત્તરપ્રદેશમાં છે
નવી દિલ્હી, તા.૨૩: તારીખ પછી તારીખ વધતી રહે છે. લોકો આવે છે અને નિરાશ થઈને પાછા જાય છે, પરંતુ આજે પણ જ્યારે દેશમાં બે લોકો વચ્ચે લડાઈ કે વિવાદ થાય છે ત્યારે તેઓ એકબીજાને કહે છે - હું તમને કોર્ટમાં જોઈશ. કારણ કે આજે પણ લોકોને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે. લોકોને લાગે છે કે જ્યારે કોઈ તેમનું સાંભળશે નહીં તો કોર્ટ સાંભળશે. પરંતુ દેશમાં ન્યાયતંત્ર પર ઘણો બોજ છે, જેના કારણે દરેક વ્યક્તિને સમયસર ન્યાય મળતો નથી. નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ (NJDG)ના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ૨૦ જાન્યુઆરી, ૨૦૨૩ સુધી દેશની નીચલી અદાલતોમાં ચાર કરોડથી વધુ કેસ પેન્ડિંગ છે.
NJDGએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ચાર કરોડ પેન્ડિંગ કેસમાંથી લગભગ ૬૩ લાખ કેસ પેન્ડિંગ છે કારણ કે તેમની સુનાવણી માટે કોઈ વકીલ ઉપલબ્ધ નથી. આ ૬૩ લાખ કેસોમાંથી ૭૮ ટકા ક્રિમિનલ કેસો અને બાકીના સિવિલ કેસ છે. રિપોર્ટ અનુસાર, દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તરપ્રદેશ આ મામલે ટોચ પર છે, જ્યાં સૌથી વધુ કેસ પેન્ડિંગ છે. આ પછી બિહાર, મહારાષ્ટ્ર અને દિલ્હીનો નંબર આવે છે.
દેશની નીચલી અદાલતોમાં પેન્ડિંગ ૪ કરોડથી વધુ કેસોમાંથી લગભગ ૬૩ લાખ કેસ માત્ર વકીલ ઉપલબ્ધ નથી.એ કારણે પેન્ડિંગ છે. નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ અનુસાર, ૨૦ જાન્યુઆરી સુધી પેન્ડિંગ ૭૮ ટકા કેસ ફોજદારી અને બાકીના સિવિલ છે. વકીલોની અછતને કારણે ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ પેન્ડિંગ કેસ છે. આંકડા દર્શાવે છે કે આવા હજારો કેસ વકીલોની અનુપલબ્ધતાને કારણે પેન્ડિંગ લિસ્ટમાં પડેલા છે. માત્ર દિલ્હી, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, યુપી અને બિહાર મળીને આવા ૬૩ લાખ કેસમાંથી ૭૭.૭ ટકા અથવા ૪૯ લાખથી વધુ કેસ પેન્ડિંગ છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક સમાચાર અનુસાર, કોર્ટમાં પેન્ડિંગ કેસોમાં વકીલ ન હોવાના ઘણા કારણો હોઈ શકે છે. મુકદ્દમા ચલાવી રહેલા વકીલોના મળત્યુ, કેસ ચાલુ હોય ત્યારે વકીલોની વ્યસ્તતા, કાર્યવાહી દ્વારા વકીલોની ભરતીમાં વિલંબ અને મફત કાનૂની સેવાઓની ઓછી પહોંચ જેવા કારણો પણ જવાબદાર છે. નીચલી અદાલતોમાં સુનાવણીમાં વિલંબ એ સૌથી મોટી અડચણ છે. આ ઘણા કારણોસર થાય છે. જેમાં ન્યાયાધીશો સમક્ષ મોટી સંખ્યામાં કેસ, પૂરતા ન્યાયાધીશોનો અભાવ અને વિવિધ કારણોસર કેસ સ્થગિત કરવાનો સમાવેશ થાય છે. તેમાંથી એક વકીલની બિનઉપલબ્ધતા છે.
વકીલો પર ઘણી વખત કામનો બોજ હોય છે. કોર્ટમાં રજિસ્ટ્રી જે રીતે કામ કરે છે, કેસની યાદી છેલ્લી ક્ષણે આવે છે. જેના કારણે વકીલો વારંવાર કોઈપણ સુનાવણીમાં હાજર રહેવાનું ચૂકી જાય છે. બીજું કારણ એ છે કે ભારતમાં સરેરાશ કેસની સુનાવણી પૂર્ણ થતાં ચાર વર્ષનો સમય લાગે છે. જ્યારે લાંબા સમય સુધી મુકદ્દમો ચાલે છે, ત્યારે પીડિત વ્યક્તિને ભારે કાનૂની ફી ચૂકવવી મોંઘી પડે છે. જ્યારે કેન્દ્રીય કાયદા મંત્રાલયના અલગ ડેટા દર્શાવે છે કે ૨૦૧૭-૧૮ અને ૨૦૨૧-૨૨ ની વચ્ચે, એક કરોડથી વધુ લોકોએ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા આપવામાં આવતી મફત કાનૂની સેવાઓનો લાભ લીધો છે. જ્યારે કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે કે આ આંકડો સ્વીકારવો મુશ્કેલ છે અને તેની વધુ તપાસ થવી જોઈએ.