દેશમાં માત્ર 3.6% લોકોનું રસીકરણપૂર્ણ :વડાપ્રધાન ઇવેન્ટ મેનેજરની ભૂમિકામાં: પ્રિયંકા ગાંધીના પ્રહાર
કોરોના રસીકરણ જ્યાં સુધી સતત મોટા સ્તર પર નહીં થાય ત્યાં સુધી આપણો દેશ સુરક્ષિત નથી
નવી દિલ્હી :કોરોના રસીકરણને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકાર પર નિશાન લગાવ્યું છે. તેમણે કહ્યું કે કોરોના રસીકરણ જ્યાં સુધી સતત મોટા સ્તર પર નહીં થાય ત્યાં સુધી આપણો દેશ સુરક્ષિત નથી. અફસોસ કે કેન્દ્ર સરકાર પીઆર ઇવેન્ટથી આગળ નથી વધી રહી.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું છે કે ડેલ્ટા+ વેરિએન્ટ દેશમાં આવી ગયો છે. હજુ માત્ર 3.6% લોકોનું જ સંપૂર્ણ રસીકરણ થયું છે. પરંતુ પીએમ અત્યારે ઇએમ (ઇવેન્ટ મેનેજરની) ભૂમિકામાં છે. પોતાને જ શાબાશી આપ્યાના બીજા દિવસે રસીકરણમાં 40 ટકાનો ઘટાડો થયો છે
અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે કોરોના રસીના 88 લાખ કરતા પણ વધારે ડોઝ આપવામાં આવ્યા હતા. જેના એક દિવસ પહેલા રસીકરણની નવી નીતિ લાગુ થયાના પહેલા દિવસે 82 લાખ કરતા વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જેને લઇને વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર પર નિશાન લગાવવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસનું કહેવું છે કે દરરોજ રસીકરણની આવી ઝડપ રહેવી જોઇએ. પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમે પણ કહ્યું કે રવિવારે જમા કરો, સોમવારે રસીકરણ કરો અને મંગળવારે ફરી એ જ સ્થિતિમાં આવી જાઓ. આ એક દિવસમાં રસીકરણનો વિશ્વ રેકોર્ડ બનાવવા પાછળનું સિક્રેટ છે.