અઢી વર્ષથી CMના દરવાજા અમારા માટે બંધ હતા : અમને અયોધ્યા જતાં અટકાવ્યા : સતત અપમાન થતુ'તું
CM માત્ર NCP - કોંગ્રેસને જ મળતા : ચૂંટણી રણનીતિથી અમને બાકાત રખાયા : શિવસેનાના નારાજ ધારાસભ્યોએ ફોડયો ‘પત્રબોંબ' : ઉધ્ધવ ઉપર પ્રહારો
મુંબઇ તા. ૨૩ : શિવસેનામાં રાજકીય અંતર સર્જાયું છે, પરંતુ નેતાઓ વચ્ચેની વાતચીત અટકી નથી. ગુરૂવારે ધારાસભ્ય એકનાથ શિંદે કેમ્પે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેણે પોતાની પરેશાનીઓ વિશે વાત કરી છે. તેમણે શિવસેના સુપ્રીમોને કહ્યું કે તેઓ નેતાઓની સમસ્યાઓ સાંભળવા માટે ક્યારેય ઉપલબ્ધ નથી. ત્રણ પાનાના આ પત્રમાં તેમણે તાજેતરની ચૂંટણી અંગે પણ ચર્ચા કરી છે.
શિવસેના નેતા શિંદે કેમ્પ તરફથી મરાઠીમાં લખવામાં આવેલા પત્રમાં સંપર્કથી દૂર રહેવાનો સૌથી મોટો આરોપ લગાવવામાં આવ્યો છે. તેણે લખ્યું, ‘તમારી પાસે એકઠા થયેલા કથિત ચાણક્યએ અમને રાજયસભા અને વિધાન પરિષદની ચૂંટણીની રણનીતિથી દૂર રાખ્યા. પરિણામ હવે સૌની સામે છે. અમને કહેવામાં આવ્યું હતું કે તમે લોકોને છઠ્ઠા માળે મળી શકો છો, પરંતુ એવું ક્યારેય બન્યું નહીં.'
તેમણે કહ્યું, ‘અમે અમારા વિધાનસભા ક્ષેત્ર પર કામ માટે ઘણી વખત સંપર્ક કર્યો છે, તો ફોનનો જવાબ પણ નથી મળતો. અમે આ બધું સહન કરી રહ્યા હતા અને તમામ ધારાસભ્યોએ સહન કર્યું છે. અમે તમારી આસપાસના લોકોને આ વાત કહેવાની કોશિશ કરી, પણ કોઈ ફાયદો થયો નહીં.'
નેતાઓનું કહેવું છે કે સીએમને મળવા માટે નજીકના લોકો સાથે સંપર્ક કરવો પડે છે. તેણે લખ્યું, ‘જ્યારે તમે વર્ષાથી નીકળ્યા ત્યારે ત્યાં ઘણી ભીડ જોવા મળી હતી. સારી વાત છે કે પહેલીવાર આ બંગલાના દરવાજા સામાન્ય લોકો માટે પણ ખોલવામાં આવ્યા. આ બંગલાના દરવાજા છેલ્લા અઢી વર્ષથી બંધ હતા. ધારાસભ્ય તરીકે પણ અમારે તમને મળવા માટે તમારા નજીકના લોકો વચ્ચે પાછળ-પાછળ ચાલવું પડશે.'
તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકારના મંત્રી આદિત્ય ઠાકરે ઉત્તર પ્રદેશના અયોધ્યા પહોંચ્યા હતા. આ યાત્રાને લઈને પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમારે પણ રામલલાના દર્શન કરવાના હતા, પરંતુ કેમ કરવા દેવાયા નહીં.' તેમણે કહ્યું, ‘હવે આપણે બધા ન્યાય અને હક માટે એક થયા છીએ. તેથી જ અમે તેમને નેતા માનીને આ નિર્ણય લીધો છે. હિન્દુત્વ, અયોધ્યા અને રામ મંદિર શિવસેનાના મુદ્દા છે, પરંતુ અમને અટકાવવામાં આવ્યા. ઉદ્ધવ ઠાકરેએ પોતે ઘણા ધારાસભ્યોને અયોધ્યા જતા અટકાવ્યા હતા.'
બળવાખોર ધારાસભ્યોએ ક્રોસ વોટિંગની વાતને નકારી કાઢી છે. તેમણે લખ્યું, ‘રાજ્યસભાની ચૂંટણીમાં શિવસેનાનો એક પણ વોટ ક્રોસ વોટ થયો નથી. આ પછી પણ વિધાન પરિષદની ચૂંટણી પહેલા અમારા પર અવિશ્વાસ વ્યક્ત કરાયો હતો. આ સિવાય તેમણે સીએમ પર સમસ્યાઓ ન સાંભળવાનો આરોપ લગાવ્યો છે. શિવસેનાના નેતાઓએ કહ્યું, ‘અમને ક્યારેય વર્ષા જવાની પરવાનગી મળી નથી. NCP અને કોંગ્રેસના લોકો આસાનીથી ઉપલબ્ધ હતા, પરંતુ અમારી પાસે પ્રવેશ નહોતો.
સીએમ ઠાકરેએ નેતાઓને સંબોધિત કર્યા હતા. તે દરમિયાન તેમણે બળવાખોર ધારાસભ્યો સાથે ચર્ચા કરવાની વાત કરી હતી. આના પર, પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, ‘ગઇકાલે તમે ભાવનાત્મક ભાષણ આપ્યું હતું, પરંતુ તેમાં અમારા મુદ્દાઓ વિશે વાત કરવામાં આવી ન હતી.