મુખ્ય સમાચાર
News of Friday, 23rd September 2022

દિલ્‍હી - NCRમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયુ : નોઇડામાં તમામ સ્‍કૂલો બંધ

કોર્પોરેટ કાર્યાલય અને ખાનગી સંસ્‍થામાં કામ કરનારા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની પરવાનગી

નવી દિલ્‍હી તા. ૨૩ : રાષ્ટ્રીય રાજધાની દિલ્‍હીમાં ગુરુવારે થયેલા વરસાદના કારણે વાહનવ્‍યવહાર ઠપ થઈ ગયો હતો. અલગ અલગ ભાગમાં હળવાથી લઈને મધ્‍ય વરસાદ થવાના કારણે પાણી ભરાયા છે. દિલ્‍હી ટ્રાફિક પોલીસ અને જામ સાથે જોડાયેલી સૂચનાઓ ટ્‍વિટર પર શેર કરતા રહે છે. જેથી લોકોને મદદ મળી શકે. આ બાજૂ ભારતીય હવામાન વિભાગે ઓરેન્‍જ એલર્ટ જાહેર કર્યું છે, કારણ કે, ભારે વરસાદના કારણે વિઝિબિલિટી ઓછી થઈ શકે છે. વાહન વ્‍યવહાર ખોરવાઈ શકે છે અને કાચા રોડ તથા જૂની ઈમારતોને નુકસાન પહોંચી શકે છે. તે અનુસાર આગામી બે ત્રણ દિવસ સુધી દિલ્‍હીમાં હળવો વરસાદ થવાની શક્‍યતાઓ છે.

તો વળી ટ્રાફિક પોલીસે ટ્‍વિટ કરીને કહ્યું કે, મહિપાલપુર લાલબત્તીથી મહરૌલી જતાં પાણી ભરાયા હોવાના કારણે કૈરિઝવે પર વાહનવ્‍યહાર પ્રભાવિત રહેશે. પાણી ભરાયા હોવાની સ્‍થિતિમાં ફિરની રોડ અને નઝફગઢમાં તુડા મંડી લાલ બત્તી પર વાહનવ્‍યવહાર પ્રભાવિત રહેશે. આગળ કહ્યું કે,મોતી બાગ જંક્‍શનથી ધૌલા કુવા આવતા મહાત્‍મા ગાંધી માર્ગનો રસ્‍તો પસંદ કરવો નહીં. કારણ કે શાંતિ નિકેતનની પાસે પાણી ભરાવાની સ્‍થિતિ બની છે. ખરાબ હવામાનને જોતા તમામ બોર્ડની સ્‍કૂલો બંધ રહેશે.

ગુરુગ્રામના ડેપ્‍યુટી કમિશ્નરે વરસાદના કારણે એડવાઈઝરી જાહેર કરી છે. તમામ કોર્પોરેટ કાર્યાલય અને ખાનગી સંસ્‍થામાં કામ કરનારા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની પરવાનગી આપી દીધી છે. ખાનગી સંસ્‍થાઓએ એવી પણ સલાહ આપી છે. ડેપ્‍યુટી કમિશ્નરે કહ્યું કે, જાહેરહિતમાં પોતાની સ્‍કૂલ અને કોલેજમાં રજા જાહેર કરી છે. પાણી ભરાવા અને જામથી બચવા માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગે ભારે વરસાદના એલર્ટને ધ્‍યાનમાં રાખતા ડીએમે સ્‍કૂલ બંધ રાખવાના નિર્દેશ આપ્‍યા છે. હવામાન વિભાગે ૨૩ સપ્‍ટેમ્‍બરે ભારે વરસાદના એલર્ટને જોતા જિલ્લા અધિકારી સુહાસ એલ વાઈએ જિલ્લા ગૌતમ બુદ્ધ નગરમાં ધોરણ ૧થી ૮ સુધીના તમામ બોર્ડની સ્‍કૂલ બંધ રાખવાના નિર્દેશ આપ્‍યા છ.ે આ જાણકારી જિલ્લા વિદ્યાલય નિરીક્ષક ડો. ધર્મવીર સિંહે આપી છે.

આ બાજૂ યાત્રિઓને પણ ટ્‍વિટર પર શહેરના જામની સમસ્‍યા અને તેનાથી થઈ રહેલી મુશ્‍કેલીઓ વિશે ફરિયાદ કરી છે. એક વ્‍યક્‍તિએ લખ્‍યું છે કે, હમદર્દ નગરથી આંબેડકર નગર બસ ડિપો સુધીમાં ભયંકર ટ્રાફિક જામ છે. તો વળી અન્‍ય એક યુઝર્સે લખ્‍યું છે કે, ભારે વરસાદના કારણે અલગ અલગ જગ્‍યાએ ફસાયેલા વાહન ચાલકોને દિશા દેખાડવા માટે ટ્રાફિક પોલીસનો કોઈ કર્મચારી અહીં હાજર નથી. દ્વારકા પાલમ ફલાઈઓવર પર ડીટીસીની બસ ખરાબ થઈ ગઈ હતી. બપોરે એક વાગ્‍યાની આસપાસ ૪૫ મિનિટ સુધી જામમાં ફસાઈ રહ્યા. હવે દ્વારકા અંડરપાસ પર પાણી ભરાયા છે અને ૪૫ મિનિટ સુધી ટ્રાફિક થયો હતો.

(11:05 am IST)