મુખ્ય સમાચાર
News of Friday, 23rd September 2022

કોરોનાનો અંત નહીં, ઘણો લાંબો રસ્તો કાપવાનો છે : WHO

યુએસ પ્રમુખે કોરોના સમાપ્ત હોવાનું જણાવ્યું : હજુ એવી અનેક અડચણો છે જે ધ્યાન નહીં આપીએ તો આપણને હેરાન કરી શકે છે : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન

જિનેવા, તા.૨૩ : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન યુએસમાં કોરોના મહામારી સમાપ્ત થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)ના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ઘેબ્યેયિયસના કહેવા પ્રમાણે અંતને જોઈ શકાય છે એનો મતલબ એવો ન થાય કે આપણે અંત તરફ છીએ.

તેમણે કોવિડ-૧૯ મહામારીનો અંત નજીક હોવાના દાવાને ફગાવીને હજું ઘણો લાંબો રસ્તો કાપવાનો બાકી છે તેવી માહિતી આપી હતી. જોકે સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, દુનિયા કોરોના મહામારીને ખતમ કરવાની આટલી સારી સ્થિતિમાં અગાઉ કદી નહોતી, અંત નજીક છે તેમ કહી શકાય.

ટેડ્રોસના કહેવા પ્રમાણે મહામારીને સમાપ્ત કરવા માટે દુનિયા અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ સ્થિતિમાં એટલા માટે છે કારણ કે, હાલ સાપ્તાહિક મૃતકઆંકમાં ઘટાડો ચાલુ છે. જે આંકડો જાન્યુઆરી ૨૦૨૧માં ચરમસીમા પર હતો તેનો હાલ માત્ર ૧૦ ટકા જેટલો જ રહ્યો છે.  ટેડ્રોસે જણાવ્યું કે, વિશ્વની બે તૃતિયાંશ (૨/૩) વસ્તીને કોરોના વેક્સિન આપી દેવાઈ છે. તેમાં ત્રણ ચતુર્થાંશ (૩/૪) સ્વાસ્થ્ય કાર્યકરો અને વૃદ્ધ લોકોનો પણ સમાવેશ થાય છે. વધુમાં જણાવ્યું કે, આપણે ૨.૫ વર્ષ જેટલો સમય એક લાંબી, અંધારી સુરંગમાં વિતાવ્યો છે અને હવે આપણે તે સુરંગના અંતમાં પ્રકાશ જોવાનું શરૃ કરી રહ્યા છીએ. જોકે હજુ એક લાંબો રસ્તો કાપવાનો બાકી છે, હજુ એવી અનેક અડચણો છે જે ધ્યાન નહીં આપીએ તો આપણને હેરાન કરી શકે છે.

(7:25 pm IST)