નાઈજીરીયાની મસ્જીદમાં અંધાધુંધ ગોળીબારઃ ૫ ના મોત
નમાઝ અદા કરી રહેલા લોકો ઉપર બેફામ ગોળીઓ વરસાવીઃ ૧૮ લોકોના અપહરણ પણ કરી ગયા
નવી દિલ્હીઃ નાઈજીરીયામાં એક મસ્જીદમાં બંધૂકધારીઓએ અંધાધૂંધ ફાયરીંગ કરી પાંચ લોકોની હત્યા કરી નાંખી હતી અને ૧૮ લોકોના અપહરણ પણ કરી ગયા હતા. નાઈજીરીયા પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરતાં પોલીસ પ્રવકતા મુહમ્મદ શેહુએ કહ્યું કે જામફરા ક્ષેત્રના મારૂલ વિસ્તારમાં દસ્તનગારી સુમદાયના લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે.
બંધુકધારીઓએ મસ્જીદમાં હાજર રહેલા ૧૮ લોકોના અપહરણ પણ કરી ગયા હતા. હુમલાખોરોએ આવતાની સાથે જ અંધાધુંધ ગોળી વરસાવાની શરૂ કરી દીધી હતી. જેમાં બે લોકોના ઘટનાસ્થળ ઉપર જ મોત થયા હતા. જયારે ત્રણ લોકોના મોત હોસ્પિટલમાં સારવાર દરમ્યાન થયા હતા.આ ઘટનાને નજરે નિહાળનાર લોકોએ કહ્યું હતું કે હુમલાખોરો મોટરસાયકલ ઉપર આવ્યા હતા અને નમાઝ પઢી રહેલા લોકો ઉપર ગોળીઓ વરસાવાનું શરૂ કરી દીધુ હતું. ત્યારબાદ હુમલાખોરો જંગલમાં ભાગી છુટયા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.