વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદો માટેના નવા ફ્લેટ્સનું ઉદ્ઘાટન કર્યું
અમે અટકેલી યોજનાઓ પૂરી કરી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી : અટલજીના સમયે જે આંબેડકર નેશનલ મેમોરિયલની ચર્ચા શરૂ થઈ હતી, તેનું નિર્માણ આ સરકારના કાર્યકાળમાં થયું
નવી દિલ્હી,તા.૨૩ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદો માટે બહુમાળિયા ફ્લેટ્સનું વીડિયો કોન્ફરન્સિંગનું ઉદ્ઘાટન કર્યું. આ ફ્લેટ્સ નવી દિલ્હીમાં ડૉક્ટર બીડી માર્ગ પર બનાવવામાં આવ્યા છે. આ પ્રસંગે પીએમ મોદીએ જનપ્રતિનિધિઓને નવા આવાસ માટે શુભકામનાઓ પાઠવી. વડાપ્રધાને કહ્યું કે, આ ઈમારતોનું નિર્માણ આ સરકારના કાર્યકાળ દરમિયાન શરૂ થયું અને નિયત સમય મર્યાદામાં પહેલા પૂરું પણ થયું. અટલજીના સમયે જે આંબેડકર નેશનલ મેમોરિયલની ચર્ચા શરૂ થઈ હતી, તેનું નિર્માણ આ સરકારના કાર્યકાળમાં થયું. અમારી સરકારે અટકેલી યોજનાઓને પૂરી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આ ફ્લેટ્સમાં દરેક એ સુવિધાઓ આપવામાં આવી છે જેનાથી સાંસદોને કામ કરવામાં સરળતા રહેશે. દિલ્હીમાં સાંસદો માટે ભવનોની મુશ્કેલી ઘણા લાંબા સમયથી રહી છે. સાંસદોને હોટલમાં રહેવું પડે છે જેના કારણે આર્થિક ભારણ આવતું હતું. વડાપ્રધાને કહ્યું કે દશકોથી ચાલી રહેલી સમસ્યાઓને ટાળવાથી નહીં તેને પૂરી કરવાથી જ ખતમ થશે. પીએમ મોદીએ કહ્યું કે, લોકસભા સ્પીકર ઓમ બિરલા ગૃહની અંદર સમયની બચત કરાવે છે અને બહાર ફ્લેટ બનાવવામાં પણ ધનની બચત કરી. આ ફ્લેટ્સના નિર્માણમાં પર્યાવરણનું ધ્યાન રાખવામાં આવ્યું છે. કોરોના કાળમાં પણ યોગ્ય રીતે ગૃહની કાર્યવાહી ચાલી અને ઐતિહાસિક રીતે કામ થયું. અધિકૃત જાણકારી મુજબ, બીડી માર્ગ પર ગંગા યમુના સરસ્વતીના નામથી ત્રણ ટાવર બનાવવામાં આવ્યા છે, જેમાં કુલ ૭૬ ફ્લેટ છે. આ ફ્લેટ્સના નિર્માણ માટે ૮૦ વર્ષથી જૂના ૮ બંગલાનું પુનર્વિકાસ કરવામાં આવ્યું છે. તેનો ખર્ચ ૨૧૩ કરોડ રૂપિયા થયો છે. કોવિડ-૧૯નો પ્રભાવ હોવા છતાંય ૧૪ ટકા બચતની સાથે આ ફ્લેટ્સનું નિર્માણ કાર્ય પૂરું થયું છે.