મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd November 2021

બે માસમાં ધૂમ લગ્નો, કોરોનાનો ફરીથી ખતરો

દેશમાં કોરોનાનું જોર ઓછું થઈ ગયું : દેશમાં આગામી દિવસોમાં ૨૫ લાખ લગ્નો થશે અને દરેક ૧૦ પૈકીના ૬ લગ્ન ધામધૂમથી યોજાવાના છે

નવી દિલ્હી, તા.૨૩ : દેશમાં કોરોનાનુ જોર ઓછુ થઈ ગયુ છે અ્ને તેના પગલે ત્રીજી લહેરનો ખતરો પણ ઓછો થયો છે.જોકે નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્નની સીઝનથી કોરોના ફેલાવાનો ખતરો ફરી ઉભો થાય તેવી શક્યતા છે.

લોકલ સર્કલના અહેવાલ પ્રમાણે દેશમાં આગામી દિવસોમાં ૨૫ લાખ લગ્નો થશે અને દરેક ૧૦ પૈકીના ૬ લગ્ન ધામધૂમથી યોજાવાના છે.લોકોમાં હવે કોરોનાનો ડર રહ્યો નથી અને તેના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનુ પણ ઓછુ થઈ રહ્યુ છે.

લોકલ સર્કલે એક સર્વેમાં લોકોને સવાલ પૂછ્યો હતો કે, તમે નવેમ્બર ડિસેમ્બરમાં કોઈ લગ્ન એટેન્ડ કરવાના છો ત્યારે તેના જવાબમાં ૨૪ ટકા જ લોકો એવા હતા જેમણે કહ્યુ હતુ કે, અમને કોઈ લગ્ન માટે આમંત્રણ મળ્યુ નથી.

 ૪૪ ટકા લોકોએ લગ્નમાં જવાની તૈયારી કરતા હોવાનુ કહ્યુ હતુ. ૭૬ ટકા લોકોએ તો એમ કહ્યુ હતુ કે, હવે કોરોનાનો ખતરો રહ્યો નથી જ્યારે ૨૨ ટકા લોકોએ કોરોના સામે તકેદારી રાખવી જોઈએ તેમ કહ્યુ હતુ.આ સર્વે દરમિયાન ૯૦૦૦ જેટલા લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા.

(7:11 pm IST)