શ્રધ્ધા મર્ડર કેસનો આરોપી વારંવાર નિવેદનો બદલી રહ્યો છે
નવી દિલ્હી, તા. ર૩ : મંગળવારે શ્રધ્ધા વાલકરની હત્યાના આરોપી આફતાબ અમીન પૂનાવાલાને ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી રોહીણી ખાતે લઇ જવાયો છે. દિલ્હી પોલિસે રોહીણી ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીમાં આફતાબ પુનાવાલાના પોલીગ્રાફીક ટેસ્ટની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. દિલ્હી પોલીસ અનુસાર, આફતાબ સતત પોતાનું સ્ટેટમેન્ટ બદલાવી રહ્યો છે.
આફતાબ પૂનાવાલા પર શ્રધ્ધા વાલકરનું ગળુ ઘોંટીને હત્યા કરવાનો અને તેના શરીરના ૩પ ટુકડા કરવાનો આરોપ છે. તેના પર એ પણ આરોપ છે કે તેણે શ્રધ્ધાના શરીરના કાપેલા ટુકડાઓને દક્ષિણ દિલ્હીના છતરપુરના જંગલોમાં ફેંકતા પહેલા રેફ્રીજરેટરમાં રાખ્યા હતા.
સુત્રો અનુસાર, સેન્ટ્રલ ફોરેન્સીક સાયન્સ લેબની ટીમોએ છત્તરપુરના એ એપાર્ટમેન્ટમાંથી સાબિતીઓ એકઠી કરવાનો પ્રયાસ કર્યો હતો. જયાં ૧૮ મે એ આફતાબ પુનાવાલાએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. ફોરેન્સીક લેબની ટીમે સેમ્પલ માટે બાથરૂમની લાદીઓ કાઢી હતી જેથી એ પુરાવાઓ મેળવી શકાય જેને આફતાબે હત્યા પછી ઘરને ધોઇને મીટાવી દીધા હતા.
દિલ્હી પોલીસે મંગળવારે આરોપી આફતાબ પૂનાવાલાની પોલીસ કસ્ટડી વધારવાની માંગણી કરતા કોર્ટને જણાવ્યું છે કે આરોપીના ઘરેથી એક રફ સાઇટ પ્લાન મળ્યો છે. જે સર્ચ ઓપરેશનમાં મદદરૂપ બની શકે છે. પોલીસ અનુસાર તે હત્યા પછી શ્રધ્ધાના શરીરના ટુકડાઓને જંગલાં ફેંકવા અંગેનો સાઇટ પ્લાન હોઇ શકે છે