ઓમિક્રોનના લીધે મગજ 'બ્હેર' મારી જાય છે જેથી દર્દી પરેશાન રહે છે
રોગમાંથી સાજા થયા પછી પણ દર્દી કેટલાક સમય સુધી તેની યાદશક્તિ ગુમાવી દેતા જોવા મળે છે અથવા યાદશક્તિ કેટલાક સમય સુધી તદ્દન મંદ બની જાય છે.
કોવિડના નવા વેરિઅન્ટ ડેલ્ટા અને ઓમિક્રોનમાંથી પણ સાજા થયેલાઓને પછીથી કેટલીક આડઅસરો જોવા મળી છે. તેમાં સૌથી ગંભીર આડઅસર યાદશક્તિ ચાલી જવાની કે ઘટી જવાની છે.
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધકો આને 'સાર્સ-કોવી-૨' વાયરસ સાથે પણ જોડે છે.
આથી રોગીના સ્પાઈનલ-કોર્ડ (કરોડરજ્જુ)ને અસર થાય છે અને તેમાં રહેલા મોડયુલા-ઓબલાનગાર (મુખ્ય જ્ઞાાનતંતુ)ના પ્રવાહી ઉપર વીષાણું (વાયરસ) અસર કરે છે. જ્યાંથી તે માઠી અસર મગજ સુધી પહોંચી જાય છે તેથી તે રોગમાંથી સાજા થયા પછી પણ દર્દી કેટલાક સમય સુધી તેની યાદશક્તિ ગુમાવી દેતા જોવા મળે છે અથવા યાદશક્તિ કેટલાક સમય સુધી તદ્દન મંદ બની જાય છે.
જેઓને કોવિડ કે તેના વેરીઅન્ટ્સની અસર થઈ હોય તેમનાં સ્પાઈનલ-ફ્લ્યુડઇને 'લંબર-પંક્ચર' કરી ખેંચી તેનું વિશ્લેષણ કરતા તેમાં પણ કોવિડનાં વેરિઅન્ટનાં વીષાણુ (વાયરસ) જોવા મળ્યા હતા.
આ વિશે સંશોધન કરનાર ગ્રુપના નેતા ડો. જોન્ના હેલ્મથે કહ્યું હતું કે 'એ પણ સંભવિત છે કે આ વાયરસને લીધે દર્દીની રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુન સીસ્ટીમ) જ તૂટી જાય છે. કારણ કે વાયરસ 'અનઈન્ટેનડેડ પેથોલોજીકલ વે'માં વર્તે છે. વધુ ઊંડાણપૂર્વક સંશોધન કરતાં તેઓને 'મેમરી લોસ' વિશે પણ સબળ માહિતી મળી હતી.
આ સંશોધન 'એનાલ્સ ઓફ ક્લિનિકલ એન્ડ ટ્રાન્સનેશનલ ન્યુરોલોજી' નામક મેગેઝિનમાં આપવામાં આવ્યા છે. તે સંશોધન દરમિયાન સંશોધક તબીબોએ કોવિડ-૧૯માંથી સાજા થયેલા ૩૨ દર્દીઓ અને ડેલ્ટા-ઓમીક્રોન જેવા રોગમાંથી સાજા થયેલા ૨૨ દર્દીઓનાં સ્પાઈનલ ફ્લ્યુઈડનાં સેમ્પલ્સ લીધાં હતાં. તેની ઉપર સઘન સંશોધન કર્યા પછી તેઓ આ તારણ ઉપર આવ્યા છે.