મુખ્ય સમાચાર
News of Sunday, 23rd January 2022

કોરોનાની ત્રીજી લહેર 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરીની વચ્ચે ટોચ પર હશે :R-વેલ્યુમાં ઘટાડો થશે : નિષ્ણાંતનો દાવો

14 જાન્યુઆરીથી 21 જાન્યુઆરીની વચ્ચે આર-વેલ્યુ 1.57, 7 થી 13 જાન્યુઆરીની વચ્ચે 2.2, જાન્યુઆરી 1 થી 6 વચ્ચે 4 અને 25 થી 31 ડિસેમ્બરની વચ્ચે 2.9 હતી

નવી દિલ્હી : દેશમાં કોરોના સામેની લડાઈ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં ત્રણ લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. દરમિયાન, IIT મદ્રાસનું કહેવું છે કે આગામી 14 દિવસમાં કોરોનાના ત્રીજી લહેરની ટોચ આવશે. આર-વેલ્યુમાં વધુ ઘટાડો થયો છે. IIT મદ્રાસના વિશ્લેષણ મુજબ, 14 જાન્યુઆરીથી 21 જાન્યુઆરીની વચ્ચે આર-વેલ્યુ 1.57, 7 થી 13 જાન્યુઆરીની વચ્ચે 2.2, જાન્યુઆરી 1 થી 6 વચ્ચે 4 અને 25 થી 31 ડિસેમ્બરની વચ્ચે 2.9 હતી.

IIT મદ્રાસના પ્રોફેસર નિલેશ એસ ઉપાધ્યાય અને પ્રોફેસર એસ સુંદરના નેતૃત્વમાં ગણિત વિભાગ અને સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર કોમ્પ્યુટેશનલ મેથેમેટિક્સ એન્ડ ડેટા સાયન્સ, IIT મદ્રાસ, કોમ્પ્યુટેશનલ મોડેલિંગ દ્વારા પ્રારંભિક વિશ્લેષણ હાથ ધરે છે. માહિતી અનુસાર, મુંબઈનું આર-વેલ્યુ 0.67, દિલ્હીનું આર-વેલ્યુ 0.98, ચેન્નાઈનું આર-વેલ્યુ 1.2 અને કોલકાતાનું આર-વેલ્યુ 0.56 છે

IIT મદ્રાસના ગણિત વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. જયંત ઝાએ જણાવ્યું કે મુંબઈ અને કોલકાતાની આર-વેલ્યુ સૂચવે છે કે ત્યાં સંક્રમણની ટોચ સમાપ્ત થઈ ગઈ છે, જ્યારે દિલ્હી અને ચેન્નાઈમાં તે હજુ પણ એકની નજીક છે. ઝાએ વધુમાં કહ્યું કે તેમના વિશ્લેષણ મુજબ, આગામી 14 દિવસમાં 6 ફેબ્રુઆરી સુધી કોરોના વાયરસના કેસ ટોચ પર આવશે. અગાઉ એવી આગાહી કરવામાં આવી હતી કે 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી વચ્ચે ત્રીજી લહેરની ટોચ આવશે.

આર-વેલ્યુ (R-value) શું છે ? ‘આર-વેલ્યુ’ દર્શાવે છે કે COVID-19 કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે. જો આ મૂલ્ય એકથી નીચે આવે છે, તો રોગચાળો સમાપ્ત થયો હોવાનું માનવામાં આવે છે. IIT મદ્રાસના ગણિત વિભાગના સહાયક પ્રોફેસર ડૉ. જયંત ઝાએ જણાવ્યું હતું કે R મૂલ્ય સંપર્ક દર અને અપેક્ષિત સમય અંતરાલ પર આધાર રાખે છે જેમાં સંક્રમણ લાગી શકે છે.

(7:14 pm IST)