પુણેમાં એક જ પરિવારના સાત લોકોના મળ્યા મૃતદેહ
પુણે,તા.૨૫: મહારાષ્ટ્રના પુણેની ભીમા નદીકિનારા પરથી એક જ પરિવારના સાત લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મૃતકમાં ત્રણ બાળકનો સમાવેશ થાય છે, એમ પોલીસે જણાવ્યું હતું.
ભીમા નદીના પરગાંવ પુલ નજીકના નદીકિનારાના પટ પરથી મળી આવેલા મૃતદેહમાં એક વૃદ્ધ દંપતી, તેની દીકરી, જમાઈ અને ત્રણ પૌત્ર-પૌત્રીનો સમાવેશ થાય છે. આ બનાવની પોલીસ તપાસ કરી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
પુણેથી ૪૫ કિલોમીટર અંતરને દૌંડ તાલુકાના પરગાંવ પુલ નજીકથી આ મૃતદેહો મળ્યા છે, જેમાં ચાર સોમવારે મળ્યા હતા તથા બાકી ત્રણ મંગળવારે મળ્યા છે. પ્રાથમિક તબક્કે આત્મહત્યા કરી હોવાનું કહી શકાય, પરંતુ કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, એમ વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આ તમામ લોકોના મૃતદેહ લગભગ ૨૦૦થી ૩૦૦ કિલોમીટરના અંતરેથી મળ્યા છે. મૃતકો એક જ પરિવારના છે, જેમાં એક દંપતી, તેની દીકરી અને જમાઈ અને ત્રણ બાળકનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં તમામના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા છે તથા હત્યા કરવામાં આવી છે કે નહીં તે કારણની પણ તપાસ કરવામાં આવી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.