આજે રાજકોટમાં બપોર સુધીમાં નવા ૪૩ કેસ
કુલ કેસનો આંક ૫૫૮૮એ પહોંય્યો : ગઇકાલે ૧૧૮ દર્દીઓ સાજા થતા કુલ ૪૩૯૮ લોકો ડિસ્ચાર્જ થતાં રિકવરી રેટ ૭૯.૩૧ ટકા
રાજકોટ, તા.૨૫ : સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધતુ જાય છે ત્યારે રાજકોટ શહેરમાં પણ કોરોના કેસનાં આંકમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે પણ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૪૩ પોઝીટીવ કેસ આવ્યા છે. તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કુલ ૪૩ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૫૫૮૮ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૪૩૯૮ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૭૯.૩૧ ટકા રિકવરી રેટ થયો છે.
ગઇકાલે કુલ ૪૮૭૧ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૧૦૨ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૦૯ ટકા થયો હતો. જયારે ૧૧૮ દર્દીઓને સાજા થયા હતા.
છેલ્લા છ મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૧,૯૪,૨૩૧ લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૫૫૮૮ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૮૫ ટકા થયો છે.
માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન
ગુજરાત હાઉસીંગ બોર્ડ કાલાવાડ રોડ, સરદારનગર ૧૫૦ ફુટ રીંગ રોડ, સદ્ગુરૂનગર સંત કબીર રોડ, સખિયાનગર એરપોર્ટ રોડ, ભકિત પાર્ક રેલનગર, રામેશ્વર પાર્ક માયાણી ચોક, બેકબોન પાર્ક, પિરામીડ ટાવર અમીન માર્ગ, મોચીનગર ગાંધીગ્રામ સહિતના વિસ્તારોમાં ૮૫ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન (એટલે કે કોરોના પોઝિટિવનું મકાન અને તેની આસપાસના બેથી ત્રણ મકાનના વિસ્તારનો ૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છે.