સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકનું ખાનગીકરણની યોજના
નવી દિલ્હી તા. ૨૬ : બે જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) ના ખાનગીકરણ પર કામ ચાલી રહ્યું છે અને સરકાર આગામી મહિનાઓમાં આ અંગે યોગ્ય પગલાં લઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર જાહેર ક્ષેત્રની બે બેંકોનું ખાનગીકરણ કરવા માટે પ્રતિબદ્ધ છે અને આ દિશામાં કામ ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જાહેર ક્ષેત્રની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકનું ખાનગીકરણ થઈ શકે છે.
આ સિવાય કન્ટેઈનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (કોનકોર) ના વ્યૂહાત્મક વેચાણ પર, સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલાક મુદ્દાઓ છે અને તેને ઉકેલ્યા પછી, ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા હેઠળ, કેબિનેટ સચિવની આગેવાની હેઠળ સચિવોનું મુખ્ય જૂથ તેની મંજૂરી માટે વૈકલ્પિક મિકેનિઝમ (એએમ) ને તેની ભલામણ મોકલશે. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટ તેના પર અંતિમ મહોર લગાવશે.