માર્ચ સુધીમાં મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનશેઃ નારાયણ રાણે
નારાયણ રાણેના નિવેદનથી રાજકારણમાં હડકંપ : શરદ પવાર દિલ્હી ભણી, પૂર્વ સીએમ ફડણવીસના પણ દિલ્હીમાં ધામાથી રાજકીય ગતિવિધિઓ તેજ બની
મુંબઈ, તા.૨૬ : કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ દાવો કરતા કહ્યુ છે કે, માર્ચ મહિના સુધીમાં મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનશે. જયપુરની મુલાકાતે ગયેલા રાણેએ કરેલા નિવેદન બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી હલચલ તેજ થઈ છે.બીજી તરફ એનસીપીના પ્રમુખ શરદ પવાર પોતાના તમામ કાર્યક્રમો છોડીને દિલ્હી પહોંચી રહ્યા છે.
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ફડનવીસ પણ દિલ્હીમાં છે. ગઈકાલથી મહારાષ્ટ્ર ભાજપના ઘણા ને્તાઓ દિલ્હીમાં દેખાઈ રહ્યા છે.મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટિલ ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા.હાલમાં પણ દિલ્હીમાં ભાજપના નેતાઓ વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષની મુલાકાત દિલ્હીમાં શિવસેનાના એક સાંસદ સાથે પણ થઈ છે.આ સાંસદ ઉધ્ધવ ઠાકરેની નિકટના મનાય છે.