યુકેમાં વધ્યા નોરો વાયરસના કેસઃ ભારત માટે સાવધાની જરૂરી
ડાયારીયા, ઉલટી, ઉબકા અને પેટમાં દુખાવો સૌથી વધુ દેખાતા લક્ષણો
લંડન,તા. ૨૭: દુનિયા અત્યારે કોરોના વાયરસ મહામારી સામે લડી રહી છે પરંતુ યૂનાઈટેડ કિંગડમમાં નોરો વાયરસ નામનો નવા આઉટબ્રેટ થઈ ગયું છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) અનુસાર, મે મહિનાના અંતથી ૨૬ જુલાઈ સુધી યૂકેમાં નોરો વાયરસના ૧૫૪ કેસ નોંધાઇ ચૂકયા છે.
આ કેસ ત્યારે સામે આવ્યા જયારે યૂકે દ્વારા કોવિડ લોકડાઉન પ્રતિબંધોમાં છૂટ-છાટ આપવાનો નિર્ણય કર્યો છે. PHEનું કહેવું છે કે, મોટાભાગના કેસ શૈક્ષિક સંસ્થાઓ જેવા નર્સરી અને ચાઈલ્ડકેર ફેસિલિટિમાં જોવા મળ્યા છે પરંતુ સંક્રમણ બધા આયુ વર્ગમાં વધ્યું છે.
નોરોવાયરસ એક સંક્રામક વાયરસ છે જેના કારણે ઉલ્ટી અને ઝાડા થાય છે. આને સામાન્ય રીતે 'વિંટર વોમિટિંગ બગ' કહેવામાં આવે છે. સેન્ટર ફોર ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, નોરોવાયરસથી બધા ઉંમરના લોકો સંક્રમિત અને બિમાર થઈ શકે છે.
આને સ્ટમક ફ્લૂ અથવા સ્ટમક બગ પણ કહેવામાં આવે છે. જોકે, આ ફ્લૂ સાથે સંબંધિત નથી, જે ઈન્ફ્લૂએન્જા વાયરસથી થાય છે. નોરો વાયરસ સંક્રમિત વ્યકિતના ડ્રોપ્લેટ્સ ફેલાવવામાં સરળતાથી ફેલાઈ શકે છે. બીજા લોકોને બિમાર બનાવવા માટે વાયરસના કેટલાક પાર્ટિકલ જ પૂરતા છે.
CDC અનુસાર નોરા વાયરસ સંક્રમણ સંક્રમિત વ્યકિતના સીધા સંપર્કમાં આવવાથી,સંક્રમિત ભોજન અથવા પાણી પીવાથી,સંક્રમિત સપાટી અડકયા પછી હાથ ધોયા વગર મોઢામાં નાખવાથી ફેલાય છે.સીડીસીના જણાવ્યા અનુસાર, ડાયારીયા, ઉલટી, ઉબકા અને પેટમાં દુખાવો સૌથી વધુ દેખાય છે. અન્ય લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો અને શરીરનો દુખાવો હોઈ શકે છે.
સીડીસીના જણાવ્યા મુજબ, નોર્વો વાયરસની સારવાર માટે કોઈ ખાસ દવા ઉપલબ્ધ નથી. જો તમને ચેપ લાગે છે, તો ડિહાઇડ્રેશન ટાળવા માટે પ્રવાહી લેવાનું ચાલુ રાખો. ગંભીર ડિહાઇડ્રેશનના કિસ્સામાં ડોકટરની સલાહ લો.અત્યાર સુધી ભારતમાં નોરોવાયરસનો કોઈ કેસ નોંધાયો નથી. તેથી હાલમાં ભારત માટે કોઈ ચિંતા નથી પરંતુ સાવધાની જરૂરી છે.