મુખ્ય સમાચાર
News of Tuesday, 27th July 2021

યુવાઓમાં વ્‍યસન મુક્‍તિ, શિક્ષા પ્રણાલીના પ્રચાર-પ્રસાર સાથે આધ્‍યાત્‍મિકતા અને સમાજ માટે સમર્પિત થવાનો સેવાભાવ ઉજાગર કરવામાં પૂ. હરિપ્રસાદ સ્‍વામીનું અમુલ્‍ય યોગદાન અવિસ્‍મરણીય રહેશેઃ વિજયભાઇ રૂપાણીના શબ્‍દાંજલી

મુખ્‍યમંત્રીએ સ્‍વામીશ્રીના આત્‍માની પરમ શાંતિ માટે પ્રાર્થના કરી

હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામીજીએ પોતાની જીવન લીલા સંકેલી હોવાની વાત વાયુ વેગે ફેલાતા હરિભક્તોમાં શોક વ્યાપી ગયો છે. વડોદરા ઉપરાંત દેશ વિદેશમાં રહેતા તેમના ભક્તો આઘાતમાં સરી પડ્યાં છે. લાંબા સમયથી બીમાર રહેતા હરિપ્રસાદ સ્વામીએ 88 વર્ષની વયે દેહત્યાગ કર્યો છે. ત્યારે સંસ્થાની વેબસાઈટ તથા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના નિધનની જાહેરાત કરાઈ છે.
પ્રમુખ સ્વામીના ગુરુભાઈ હતા
આજીવન તેઓ હરિભક્તો માટે કાર્યરત રહ્યા હતા. યુવાનોના શિક્ષણમાં તેમનુ મોટુ યોગદાન હતું. તેઓ પ્રમુખસ્વામીના ગુરુભાઈ અને લગભગ સમકક્ષ હતા. તેણે વડતાલથી અલગ થઈને સોખડાધામનો નવો ફાંટો કર્યો હતો. બાપ્સની માફક ચરોતર, કાનમ (વડોદરા આસપાસના વિસ્તારોના) હરિભક્તો પર તેમનો ઊંડો પ્રભાવ હતો. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિ પટેલ અને ભાજપ પ્રમુખ સીઆર પાટીલે તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
તેમનું અમૂલ્ય યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે - વિજય રૂપાણી
 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યોગી ડીવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજ આત્મીય યુનિવર્સિટીના પ્રણેતા પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના દેહ વિલય અને પરમધામ ગમન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. મુખ્યમંત્રી (Vijay Rupani) એ જણાવ્યું છે કે યુવાઓમાં વ્યસન મુક્તિ, શિક્ષા પ્રણાલીના પ્રચાર પ્રસાર સાથે આધ્યાત્મિકતા અને સમાજ માટે સમર્પિત થવાનો સેવા ભાવ ઉજાગર કરવામાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામીએ આજીવન સેવારત રહી આપેલું અમૂલ્ય યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે. તેમના દેહ વિલય અને પરમધામ ગમનથી લાખો શોકમગ્ન અનુયાયીઓના દુઃખમાં સહભાગી થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વામીશ્રીના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ કરી છે.
તેમનુ જવુ મોટી ખોટ છે - નીતિન પટેલ
તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, તેમના નિધનના સમાચારથી હુ દુખી થયો છુ. તેમનું જવુ મોટી ખોટ છે. તેમણે લાખો અનુયાયીઓને માર્ગદર્શન આપ્યું છે. મને પણ અનેકવાર તેમના દર્શન કરવાની તક મળી છે. તો તો સીઆર પાટલીએ કહ્યું કે, યોગીજી મહારાજનાં પરમ શિષ્ય પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીનાં નિર્વાણનાં સમાચારથી વ્યથિત છું. પ્રભુ એમનાં દિવંગત આત્માને શાંતિ અર્પે અને ભક્તોને આ દુખ સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું.  જય સ્વામીનારાયણ !
ઉલ્લેખની છે કે, આજે સોખડા નિજ મંદિર ખાતે મહારાજ સ્વામીના નશ્વર દેહને સવારે 11 કલાકે લાવવામાં આવશે. તેમના નિધનથી હરિ ભક્તોમાં શોકની લાગણી છવાઈ છે. હાલ મંદિર પરિસરમાં તેમના અંતિમ દર્શન માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે.

(5:11 pm IST)